નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે ટ્રિપલ તલાક પર અધ્યાદેશને ફરી જારી કરવાના પ્રસ્તાવને ગુરુવારે મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા જારી કરેલા અધ્યાદેશનો સમય 22 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. પ્રથમ અધ્યાદેશ સપ્ટેમ્બરમાં લાવવામાં આવ્યો હતો. પ્રથમ અધ્યાદેશને કાયદો બનાવવા માટે એક બિલ રાજ્યસભામાં પેન્ડિંગ છે. જ્યાં વિપક્ષ ત્રિપલ તલાક બિલને પાસ કરવા પર વિરોધ કરી રહ્યાં છે.


નોંધનીય છે કે એક અધ્યાદેશનો સમયગાળો છ મહીનાનો હોય છે. પરંતુ કોઈ સત્ર શરૂ થાય ત્યારે તેને ખરડા તરીકે સંસદમાં 42 દિવસની અંદર પાસ કરાવવાનું હોય છે. નહીં તો તે અધ્યાદેશ નિષ્પ્રભાવ બની જાય છે. જો બિલ સંસદમાં પસાર નહીં થાય તો સરકાર ફરી અધ્યાદેશ લાવી શકે છે.

સૂત્રો અનુસાર અધ્યાદેશ 11 ડિસેમ્બરે શરૂ થયેલા શિયાળું સત્રના 42માં દિવસે એટેલે કે 22 જાન્યુઆરીએ નિષ્પ્રભાવ થઈ જશે. લોકસભાએ આ બિલને મંજૂરી આપી દીધી હતી.પરંતુ બિલ રાજ્યસભામાં અટકી ગયું છે. ત્રિપલ તલાક બિલ હાલમાં ઉપલા સદનમાં પેન્ડિંગમાં છે. જ્યાં વિપક્ષ ભારે વિરોધ કરી કરી રહ્યાં છે.