Odisha Train Accident: બાલાસોર રેલ દુર્ઘટનાની તપાસનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વકીલે આ મામલે અરજી દાખલ કરી છે. આ આવેદનપત્રમાં અકસ્માત નિવારણ 'કવચ' પધ્ધતિ વહેલી તકે અમલી બનાવવા માંગ કરવામાં આવી છે. આ સાથે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલવે સુરક્ષાને લઈને પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.






મનસુખ માંડવિયાએ અકસ્માત અંગે નવીનતમ અપડેટ આપી હતી


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્રેન દુર્ઘટના અંગે નવીનતમ અપડેટ આપતા કહ્યું કે, આ દુર્ઘટનામાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 100થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે અને દિલ્હી AIIMS, લેડી હાર્ડિંજ હોસ્પિટલ અને RML હોસ્પિટલના નિષ્ણાત ડોકટરો તેમની સારવાર માટે આધુનિક સાધનો અને દવાઓ સાથે અહીં પહોંચ્યા છે. અમે વિગતવાર ચર્ચા કરી હતી અને એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.


અશ્વિની વૈષ્ણને અકસ્માતનું કારણ જણાવ્યું


અકસ્માતના કારણોનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ અકસ્માત ઇન્ટરલોકિંગમાં ફેરફારને કારણે થયો છે. તેમણે કહ્યું કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર લોકોની પણ ઓળખ કરી લેવામાં આવી છે અને તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવશે. આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કવચ વિશે જે કહ્યું તે યોગ્ય નથી. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ અકસ્માતને કવચ સાથે કોઈ લેવાદેવા નથી.