Chandrababu Naidu In NDA: ઉત્તર ભારતમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર બાદ દક્ષિણ ભારતના વધુ એક મોટા પ્રાદેશિક નેતા એનડીએ તરફ આગળ વધતા દેખાઇ રહ્યાં છે. લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુ NDAમાં સામેલ થઈ શકે છે. 


નાયડુએ બુધવારે (7 ફેબ્રુઆરી) રાત્રે ગૃહપ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. તે પહેલા બંને પક્ષોના ટોચના નેતાઓની એકસાથે મુલાકાત થાય તે મોટો સંકેત છે. ત્રણેય નેતાઓ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મળ્યા હતા.


જલદી થઇ શકે છે NDAમાં આવવાની જાહેરાત 
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ટીડીપી પ્રમુખ અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ભાજપ સાથે હાથ મિલાવવા ઈચ્છુક છે. ભાજપનો એક વર્ગ માને છે કે નાયડુ સાથે ગઠબંધન NDAને YSR કોંગ્રેસ શાસિત આંધ્ર પ્રદેશમાં સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે એનડીએમાં સામેલ થયા બાદ નાયડુ લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએની બેઠકો વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.


ક્યારે એકસાથે હતા બન્ને પક્ષ ?
ચંદ્રબાબુ નાયડુએ 2014ની ચૂંટણી ભાજપ સાથે મળીને લડી હતી, જ્યારે તેલંગાણા આંધ્રપ્રદેશથી ઔપચારિક રીતે અલગ થયું ન હતું. ભાજપે ત્યારબાદ સંયુક્ત આંધ્રપ્રદેશમાં 42માંથી ત્રણ બેઠકો પર ચૂંટણી લડી અને તમામ જીતી. તેલંગાણાની રચના બાદ આંધ્રપ્રદેશમાં 25 બેઠકો છે અને ભાજપ છથી આઠ બેઠકો વચ્ચે ગમે ત્યાં ચૂંટણી લડવા આતુર છે. ટીડીપી 2018 માં એનડીએમાંથી બહાર હતી, પરંતુ 2019 ની ચૂંટણીમાં તેને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તે માત્ર ત્રણ લોકસભા બેઠકો જીતી શકી હતી અને YSR કોંગ્રેસને રાજ્યમાં સત્તા ગુમાવી હતી. હવે બંને પક્ષો ફરી એકવાર એકસાથે આવતા જણાય છે.