નવી દિલ્હી: ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોની સેના વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ સાથે જ સમાચાર આવ્યા કે ભારતના કેટલાક જવાનોની ચીને ધરપકડ કરી છે. પરંતુ ભારતીય સેનાએ પહેલાથી જ નિવેદન આપ્યું હતું કે કોઈ ભારતીય સૈનિક ચીનના કબજામાં નથી. હવે ચીને પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે.


ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને ચીન-ભારત સરહદની સ્થિતિ વિશે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં શુક્રવારે કહ્યું ચીને કોઈપણ ભારતીય સૈનિકની ધરપકડ નથી કરી. કોઈ પણ ભારતીય સેના ચીનના કબજામાં નથી.

ભારતીય સેનાએ બુધવારે જ એ સમાચારનું ખંડન કર્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વી લદાખની ગલવાન ઘાટીમાં ત્રણ દિવસ પહેલા ચીની સૈનિકો સાથે થયેલી અથડામણ બાદ તેમના ઘણા સૈનિકો ચીનના કબજામાં છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું, 'એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક લાપતા નથી.'



આ પ્રકારના સમાચાર હતા કે ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને બંદક બનાવ્યા છે. આ અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીન તરફથી જાનહાનીની કોઈ સંખ્યા જાહેર કરવામાં નથી આવી.