ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણમાં મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે અમંગળ બનીને ઉભર્યો છે, પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ પરિવારમાંથી આવનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની જ પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધુ છે. ત્યારે મધ્યપ્રદેશના રાજકીય સંકટ વચ્ચે પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મોટું નિવેદન આપ્યું છે.


મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્મમંત્રી કમલનાથે કહ્યું અમારી પાસે બહુમત છે. અમે ગૃહમાં બહુમત સાબિત કરીશું.


મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ પણ સર્તક થઈ ગયું છે. ભાજપ પોતાના 106 ધારાસભ્યોને ચાર્ટડ પ્લેન મારફત દિલ્હી લઈ જઈ રહી છે. મધ્યપ્રદેશ ભાજપના તમામ ધારાસભ્યોને ગુડગાંવ અથવા તો દિલ્હીની કોઈ હોટલમાં રાખવામાં આવશે.


અત્યાર સુધીમાં કુલ 22 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં છ મંત્રી અને 16 ધારાસભ્યો છે. આ દરમિયાન કમલનાથે રાજ્યપાલને પત્ર લખીને મંત્રીઓને દૂર કરવાની માંગ કરી છે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા સિંધિયાએ ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રધાનમંત્રી આવાસમાં મુલાકાત કરી હતી. કોંગ્રેસ છોડવાની સાથે જ સિંધિયાએ આગળનો રસ્તો નક્કી કરી લીધો છે.

મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો છે અને વર્તમાનમાં 2 ધારાસભ્યોના નિધન થઇ ચૂક્યા છે, જેના કારણે વિધાનસભામાં 228 ધારાસભ્યો જ છે.

કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે, જ્યારે તેમને 2 બીએસપી (એક પાર્ટીમાંથી સસ્પેન્ડ) અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યનુ સમર્થન મળેલુ છે. આવામાં કમલનાથ સરકારની પાસે 121 ધારાસભ્યનું સમર્થન છે.

બીજીબાજુ, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની પાસે 107 ધારાસભ્યો છે. 230 સભ્યોવાળી વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 116 ધારાસભ્યોનુ સમર્થન જરૂરી છે.