CM Yogi UP news: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ગંભીરતાથી લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. સીએમ યોગીએ બળતણ, વીજળી અને ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા તેમજ બિનજરૂરી સોનું ન ખરીદવા માટે લોકોને અપીલ કરી છે. આ સાથે જ સરકારી સ્તરે પણ કાપ મૂકવાની શરૂઆત કરતા તેમણે મુખ્યમંત્રી અને મંત્રીઓના કાફલામાંથી 50 ટકા વાહનો ઘટાડવાનો, વર્ક ફ્રોમ હોમ (WFH) કલ્ચરને પ્રોત્સાહન આપવાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો કડક આદેશ આપ્યો છે. દુનિયામાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે આર્થિક અને ઊર્જા બચત માટે યુપી સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.

Continues below advertisement

મંત્રીઓનો કાફલો અડધો થશે, 'વર્ક ફ્રોમ હોમ' પર ભાર

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ, ડીજીપી અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સીએમ અને મંત્રીઓના કાફલામાં તાત્કાલિક 50 ટકાનો ઘટાડો કરવામાં આવે અને બિનજરૂરી વાહનો હટાવી દેવામાં આવે. આ ઉપરાંત, તેમણે રાજ્યમાં 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચરને પ્રાધાન્ય આપવા જણાવ્યું છે. ઔદ્યોગિક સંસ્થાઓ અને મોટા સ્ટાર્ટઅપ્સમાં જ્યાં વધુ કર્મચારીઓ કામ કરે છે, ત્યાં અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ (WFH) આપવા માટે રાજ્ય સ્તરીય એડવાઈઝરી જાહેર કરવા પણ સૂચના આપી છે.

Continues below advertisement

અઠવાડિયામાં 1 દિવસ 'નો વ્હીકલ ડે'

મુખ્યમંત્રીએ દુનિયાની હાલની સ્થિતિને જોતા દરેકને સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 1 દિવસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અને 'નો વ્હીકલ ડે' મનાવવા અપીલ કરી છે. શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને પણ આ ઝુંબેશમાં જોડવામાં આવશે. લોકો પીએનજી, મેટ્રો, સરકારી બસો, સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીક અવર્સમાં ઇંધણ બચાવવા ઓફિસના સમયને અલગ-અલગ બેચમાં વહેંચવાનું પણ સૂચન કરાયું છે.

મીટિંગો હવે ઓનલાઈન, રાત્રે 10 પછી ડેકોરેટિવ લાઈટ્સ બંધ

સરકારી સમય અને સંસાધનો બચાવવા માટે શિક્ષણ વિભાગના સેમિનાર, વર્કશોપ અને સચિવાલયની 50 ટકા આંતરિક બેઠકો હવેથી વર્ચ્યુઅલી (ઓનલાઈન) જ યોજવામાં આવશે. વીજળી બચાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. સરકારી ઇમારતો, ખાનગી સંસ્થાઓ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રાત્રે 10 વાગ્યા પછી ડેકોરેટિવ (સુશોભનની) લાઈટ્સનો ઉપયોગ બંધ કરવા જણાવાયું છે. લોકોને 'પીએમ સૂર્યઘર યોજના' હેઠળ સોલાર પેનલ લગાવવા પણ પ્રોત્સાહિત કરાશે.

પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો

વિદેશ યાત્રા ટાળો, દેશમાં જ કરો ડેસ્ટિનેશન વેડિંગ

સીએમ યોગીએ લોકોને આગામી 6 મહિના સુધી બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા જણાવ્યું છે. વિદેશમાં જઈને લગ્ન કરવાને બદલે ઉત્તર પ્રદેશના જ ઐતિહાસિક કિલ્લાઓ અને સુંદર સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ કરવા અપીલ કરી છે. રાજ્યમાં 'વિઝિટ માય સ્ટેટ' કેમ્પેઈન શરૂ કરાશે અને પ્રવાસીઓ માટે સંગ્રહાલયો અમુક સમય માટે ફ્રી રખાશે. કોઈ પણ કાર્યક્રમમાં ગિફ્ટ તરીકે સ્વદેશી વસ્તુઓ કે રાજ્ય સરકારની 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' (ODOP) ની વસ્તુઓ જ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તેલનો વપરાશ ઘટાડો, બિનજરૂરી સોનું ન ખરીદો

સ્વાસ્થ્ય સુધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે મુખ્યમંત્રીએ લોકોને ભોજનમાં ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી છે. હોસ્પિટલો, જેલો, કેન્ટીનો અને હોટલ-રેસ્ટોરન્ટમાં પણ ઓછા તેલવાળા ખોરાક માટે જાગૃતિ લાવવામાં આવશે. ખેતીમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન અપાશે અને ગૌશાળાઓમાં રહેલા 1.4 થી 1.5 મિલિયન પશુઓના છાણનો ઉપયોગ ખાતર તરીકે કરવા જણાવાયું છે. અંતમાં, વડાપ્રધાનની વાતને દોહરાવતા સીએમ યોગીએ લોકોને બિનજરૂરી સોનું ખરીદવાનું ટાળવા વિનંતી કરી છે, અને વહીવટીતંત્રને જ્વેલર્સ સાથે બેઠક કરી તેમની ચિંતાઓ દૂર કરવા સૂચના આપી છે.

પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....