Gujarat Congress: ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મહાનગર પ્રમુખો આગામી દિવસોમાં દિલ્હી ખાતે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેની રણનીતિ ઘડવાનો છે.
રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા અને મહાનગર પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. 16 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા જિલ્લા અને મહાનગર પ્રમુખોની આવી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને તેને નવું રૂપ આપવા માટે મંથન કરવામાં આવશે. સંગઠનમાં નવીનીકરણ અને સુધારાના ઉદ્દેશ્યથી આ બેઠકો યોજાઈ રહી છે.
રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનના સંકેત આપ્યા હતા. હવે કોંગ્રેસમાં લાંબા સમય બાદ કોઈ મોટી કાર્યવાહીની તૈયારી દેખાઈ રહી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ માટે 700 જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે મહામંથન યોજાશે. 27 અને 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ તબક્કાવાર રીતે કોંગ્રેસી જિલ્લા પ્રમુખો દિલ્હી પહોંચશે. જ્યાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ સાથે ચર્ચા કરશે.
આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે 16 વર્ષ બાદ આવી બેઠક યોજાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પહેલનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે, જ્યાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના અધ્યક્ષોને ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સત્તા આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
AICCના મહાસચિવ અને પ્રભારીઓની એક બેઠકમાં 700 જિલ્લા અધ્યક્ષોને દિલ્હી બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાર્ટી અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા. બેઠકમાં પ્રિયંકા ગાંધી સહિત કેટલાક નેતાઓના અનૌપચારિક જૂથ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંગઠન મજબૂતીના માળખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આ બેઠક જિલ્લા એકમને સશક્ત બનાવવા અને સંગઠનને નવી દિશા આપવા માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. અમારું લક્ષ્ય ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને મજબૂત કરવાનું છે.