નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 62,282 લોકોએ દેશભરમાં કોરોનાને મ્હાત આપી છે. કોરોના મહામારી દરમિયાન આ એક દિવસનો સૌથી વધુ રિકવરી રેટ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 21.5 લાખ લોકો કોરોના સામે લડી સ્વસ્થ થયા છે અને રિકવરી રેટ 74 ટકા કરતા વધુ થઈ ગયો છે.


જ્યારે, કોવિડ-19ના 68,898 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ શુક્રવારે 29 લાખને પાર પહોંચ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સવારે આઠ વાગ્યે જાહેર થયેલા આંકડા અનુસાર દેશમાં કોવિડ 19ના કુલ 29,05,823 કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 983 લોકોના સંક્રમણથી મોત થયા છે. મૃતકોની સંખ્યા વધીને 54,849 પર પહોંચી છે.

સંક્રમણથી થતો મૃત્યુદર ઘટીને 1.89 ટકા થયો છે અને દર્દીઓ સ્વસ્થ થવાની ટકાવરી વધીને 74.30 પર પહોંચી છે. આંકડા અનુસાર દેશભરમાં હાલ 6,92,028 દર્દીઓની કોરોના વાયરસની સારવાર શરૂ છે, જે અત્યાર સુધીમાં આવેલા કુલ કેસના 23.82 ટકા છે. ભારતમાં કોવિડ 19ના કેસ સાત ઓગસ્ટે 20 લાખને પાર પહોંચ્યા હતા.

આઈસીએમઆર અનુસાર દેશમાં 20 ઓગસ્ટ સુધી કુલ 3,34,67,237 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 8,05,985 ટેસ્ટ ગુરૂવારે કરવામાં આવ્યા હતા.