કોરોના વાયરસઃ છત્તીસગઢમાં તમામ સરકારી ઓફિસ 31 માર્ચ સુધી બંધ, ઇમરજન્સી સેવાઓ રહેશે ચાલુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Mar 2020 11:05 PM (IST)
સંબંધિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા સ્તર પર કોરોના વાયરસનો સામનો કરવા સામેલ સ્વાસ્થ્ય સેવાઓ, હોસ્પિટલો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખનારા વિભાગોના સંબંધિત કાર્યાલય ચાલુ રહેશે.
નવી દિલ્હીઃ છત્તીસગઢ સરકારે કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ સરકારી ઓફિસને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે કહ્યુ કે, સામાન્ય વહીવટી વિભાગે કોરોના વાયરસને રોકવા માટે 31 માર્ચ સુધી ઇમરજન્સી સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓએ કહ્યું કે, આ સમય દરમિયાન રાજ્ય સ્તરના તમામ સચિવ અને વિભાગના અધ્યક્ષ પોતાના ઘરેથી જ કામ કરશે. સંબંધિત આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા સ્તર પર કોરોના વાયરસનો સામનો કરવા સામેલ સ્વાસ્થ્ય સેવાઓ, હોસ્પિટલો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખનારા વિભાગોના સંબંધિત કાર્યાલય ચાલુ રહેશે. દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 39 વિદેશી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 63 લોકો આ વાયરસથી સંક્રમિત છે. જો કે રાહતના સમાચાર એ છે કે આ વાયરસના ભરડામાં આવેલા 23 લોકો સારવાર બાદ એકદમ સ્વસ્થ પણ થઈ ગયા છે. આ વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયા છે.