હૈદરાબાદઃ તેલંગાણામાં એક મહિલા હેલ્થ વર્કરનું કોરોના રસી લીધા બાદ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મહિલા હેલ્થ વર્કરે 19 જાન્યુઆરીએ રસી લીધી હતી. જિલ્લા એઈએફઆઈ કમિટી આ મામલે તપાસ કરી રહી છે અને તેનો રિપોર્ટ રાજ્ય એઈએફઆઈ કમિટીને મોકલશે. તેલંગાણાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટરે આ વાતની જાણકારી આપી છે.


આ પહેલાં તેલંગણાના નિર્મલ જિલ્લાના કુંઠાલા સરકારી હોસ્પિટલમાં કોરોના રસી લેનારા વિઠ્ઠલ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત થયું હતું. વિઠ્ઠલે પણ 19 જાન્યુઆરીએ 11 કલાકે કોરોના રસી લીધી હતી. તે સરકારી હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો.



તેલંગાણામાં કોરોના વાયરસ સંક્રમણના 197 નવા મામલા સામે આવ્યા બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 2.93 લાખ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1589 પર પહોંચ્યો છે. તેલંગાણામાં કુલ 2,88,275 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,849 કેસ નોંધાયા હતા અને 155 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,06,54,533 પર પહોંચી છે. જેમાંથી હાલ 1,84,408 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,03,16,786 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે અને 1,53,339 લોકો કોરોનાને શિકાર બન્યા છે.