લખનઉઃ દેશમાં હવે બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ચુકી છે. અત્યાર સુધીમાં 2 થી 6 વર્ષની ઉંમરના 5 બાળકોને રસી આપવામાં આવી છે. પ્રથમ વખત બે વર્ષ આઠ મહિનાની બાળકીને રસી અપાઈ છે. કાનપુર દેહાતમાં એક ખાનગી ડોક્ટરે તેની બાળકી પર વેક્સીન ટ્રાયલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. આ બાળકોને રસી આપતાં પહેલાં બ્લેડ સેમ્પલ લેવામાં આવ્યા, આ રસી કોવેક્સિનના પ્લાન અંતર્ગત આપવામાં આવી છે.


કાનપુરના ડોક્ટર જે.એસ, કુશવાહાએ જણાવ્યું, અત્યાર સુધી 12-18 વર્ષના 20 બાળકોને વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 6 થી 12 વર્ષના 20 બાળકોને પણ ડોઝ અપાયા છે અને 2 થી 6 વર્ષના પાંચ બાળકોને પણ રસી આપવામાં આવી છે. તમામ બાળકો ઠીક છે, કોઈ ખાસ પ્રોબ્લેમ નથી. સામાન્ય દુઃખાવો થઈ રહ્યો છે.


ક્યાં સુધીમાં આવી શકે છે બાળકોની રસી


દિલ્હી એઈમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારત બાયોટેકની કોવેક્સિનને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટં મંજૂરી આપવામાં આવી શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું, બાળકો પર કોવેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ બાદ સપ્ટેમ્બર સુધીમાં ડેટા ઉપલબ્ધ થઈ જશે. તે મહિને બાળકો માટે કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે.આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જો ફાઇઝર અને બાયોએનટેકને ભારતમાં મંજૂરી મળશે તો તે પણ બાળકો માટે વેક્સિનનો એક વિકલ્પ હોઇ શકે છે. એઈમ્સ પટના અને એઈમ્સ દિલ્હીમાં બે થી 12 વર્ષ સુધીના બાળકો માટે રસીની ટ્રાયલ ચાલી રહી છે. ડીજીસીઆઈએ 12 મેના રોજ બાળકો પર બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી હતી. જોકે તેમણે ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. તેની સાથે ડો.ગુલેરિયાએ બાળકોની સ્કૂલો ખોલવા પર વિચાર કરવા અંગે કહ્યું શિક્ષણ સંસ્થાઓ કોરોના સુપર સ્પ્રેડર ન બની જાય તેનું ધ્યાન રાખવું પડશે.