નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના અમીર મૌલાના મોહમ્મદ સાદને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે નોટિસ પાઠવી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મરકજ સાથે જોડાયેલા 26 સવાલોના જવાબો માંગ્યા છે. આ વચ્ચે મૌલાના મોહમ્મદ સાદની શોધખોળમાં પોલીસે દરોડા પાડ્યા હતા. એક દિવસ અગાઉ જ મૌલાના સાદે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી જેમાં તે કહી રહ્યો હતો કે તે આઇસોલેશનમાં છે.


ક્રાઇમ બ્રાન્ચ તરફથી મોકલવામાં આવેલી નોટિસમાં સંગઠનું સરનામું અને રજિસ્ટ્રેશ સાથે જોડાયેલી જાણકારીઓ, સંગઠન સાથે જોડાયેલા કર્મચારીઓની ડિટેઇલ જાણકારી માંગવામાં આવી છે. તે સિવા મરકજના મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોની પણ માહિતી માંગવામાં આવી છે. સાથે પૂછવામાં આવ્યું છે કે આ લોકો ક્યારથી મરકજ સાથે જોડાયેલા છે.

આ સાથે જ મરકજની છેલ્લા ત્રણ વર્ષની ઇનકમ ટેક્સ ડ઼િટેઇલ, પાન કાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટની ડિટેઇલ અને એક વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યું છે. એક જાન્યુઆરી 2019થી અત્યાર સુધીના મરકજના તમામ ધાર્મિક આયોજનની જાણકારી માંગવામાં આવી છે. શું મરકજની અંદર સીસીટીવી કેમેરા છે.

તે સિવાય દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદને પૂછ્યું છે કે ધાર્મિક આયોજનોમાં લોકોની ભીડ એકઠી કર્યા અગાઉ પોલીસ કે વહીવટીતંત્રની પરમિશન માંગી છે કે નહીં. અને જો માંગી હોય તો તેના દસ્તાવેજો પણ માંગ્યા છે. 12 માર્ચ બાદ મરકજમાં આવેલા તમામ લોકોની જાણકારી પણ પોલીસે માંગી છે જેમાં વિદેશી અને ભારતીયો પણ સામેલ છે.