નવી દિલ્હી:  મુશ્કેલીઓથી ઘેરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક બાદ એક મોટા ઝટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપતા દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પાર્ટીમાંથી પણ રાજીનામું  આપી દીધું હતું.


ભ્રષ્ટાચારનો આરોપ 


આ દરમિયાન રાજકુમારે આમ આદમી પાર્ટી પર ભ્રષ્ટાચાર અને પાર્ટીમાં દલિતોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. આ સરકારમાં મંત્રી તરીકે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે.




ED એ ઘર પર દરોડા પાડ્યા


તેમણે કહ્યું કે હું આ પાર્ટી, સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપું છું. કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડાય. તમને જણાવી દઈએ કે તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તાજેતરમાં જ EDએ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં EDની ટીમ રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. EDએ તેના સાથે સંબંધિત એક ડઝનથી વધુ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. 


દિલ્હીની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર  (મંગળવાર, 9 એપ્રિલ, 2024) હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સીએમ કેજરીવાલે ધરપકડને પડકારતી અરજી કોર્ટમાં કરી હતી. દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની ધરપકડને પડકારતી સીએમ અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી હતી.


ED પાસે પૂરતી સામગ્રી હતી જેના કારણે તેમને કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ દ્વારા તપાસમાં ન જોડાવું, તેના કારણે વિલંબથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા લોકો પર પણ અસર પડી રહી છે, એમ દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું.


દિલ્હી હાઈકોર્ટે ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે સ્વીકાર્યું કે ED દ્વારા કરાયેલી ધરપકડ કાયદેસર છે. કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો ED ધરપકડ કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે પણ ટ્રાયલ કોર્ટ દ્વારા ઈડીને આપેલા રિમાન્ડના આદેશને યથાવત રાખ્યો છે. આ સાથે અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયને પણ યથાવત રાખવામાં આવ્યો છે.