નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણી પ્રચારમાં ભડકાઉ ભાષણ કરનારા ભારતીય જનતા પાર્ટીના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પ્રચાર કરવા પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર પર 72 કલાક અને ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.
ચૂંટણી પંચે આ અગાઉ બંન્નેને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હટાવી દીધા હતા પરંતુ હવે બંન્નેને પ્રચાર કરતા પર રોકી દેવામાં આવ્યા છે. નોધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનબાજી દરમિયાન ચૂંટણી પંચની આ ત્રીજી મોટી કાર્યવાહી છે. આ અગાઉ ચૂંટણી પંચે ભાજપના જ ઉમેદવાર કપિલ મિશ્રા પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો. કપિલ મિશ્રાએ પોતાના ટ્વિટમાં શાહિન બાગને મિની પાકિસ્તાન કહ્યુ હતું.


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સતત શાહીન બાગનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ પ્રચાર દરમિયાન કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે એક જનસભામાં નારેબાજી કરાવી હતી. ઠાકુરે દેશના ગદ્દારોને ...ગોળી મારો...ના નારા લગાવ્યા હતા.
તે સિવાય ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ શાહીન બાગની તુલના કાશ્મીરની સ્થિતિ પર કરી હતી. તેમણે કહ્યુ હતું કે, શાહીન બાગમાં જે લાખો લોકો છે તેઓ એક દિવસ તમારા ઘરમાં ઘૂસી જશે, મા-બહેનો પર બળાત્કાર કરશે અને લૂંટ ચલાવશે.