Maharashtra Political Crisis: શિવસેના (Shivsena) સામે બળવો કરનાર એકનાથ શિંદે (Eknath Shinde)અને અન્ય બળવાખોર ધારાસભ્યો સામે ગેરલાયક ઠેરવવાની તલવારનો સામનો કરી રહ્યા છે. આનાથી બચવા માટે શિંદે જૂથે અન્ય પક્ષો સાથે ભળવું પડશે. અગાઉ તેમની પાસે ભાજપ(BJP)નો વિકલ્પ હતો. હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નો વિકલ્પ પણ છે.


શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાની ચર્ચા 
સૂત્રોના જણાવ્યા અનુસાર શિંદે ગ્રુપ વિલય માટે  વિકલ્પો શોધી રહ્યું છે. જો શિંદે જૂથના વિલીનીકરણનો સમય આવશે તો આ જૂથ પણ રાજ ઠાકરે (Raj Thackeray)ની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે. શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાનું કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ વારંવાર કહ્યું છે કે તેઓ હિન્દુત્વ માટે અલગ થઈ રહ્યા છે. તેમનું હિન્દુત્વ બાલાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છે. 


તાજેતરના સમયમાં રાજ ઠાકરે દ્વારા ભજવવામાં આવેલી હિન્દુત્વની ભૂમિકા બાળાસાહેબ ઠાકરે જેવી જ છે. એવી અટકળો છે કે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ MNS સાથે ભળી શકે છે.


શું MNS આ ઓફર સ્વીકારી શકે?
MNSના સૂત્રોના જણાવ્યા અનુસાર જો MNS પાસે આવો વિકલ્પ હશે તો તે આ ઓફર સ્વીકારશે. તેમજ શિંદે જૂથ MNSમાં ભળી શકે છે. અગાઉ રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં MNSના એકમાત્ર ધારાસભ્યનો મત ભાજપને ગયો હતો. કારણ કે બંને પક્ષો સમાન વિચારસરણીના છે. તેથી જ MNS ધારાસભ્યએ ભાજપના ઉમેદવારોને મત આપ્યો.એ જ રીતે હિન્દુત્વના મુદ્દે શિંદે જૂથના MNS સાથે વિલીનીકરણની વાત ચાલી રહી છે.


સૂત્રોએ એમ પણ કહ્યું કે કેટલાક MNS નેતાઓ અને શિંદે જૂથના કેટલાક અગ્રણી ધારાસભ્યો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ હિલચાલને વેગ મળશે.