શરમજનક! 1971 ના વોર હીરો અને નિવૃત્ત નેવી ચીફને ચૂંટણી પંચે SIR નોટીસ ફટકારીને નાગરિકતા સાબિત કરવા બોલાવ્યા
ગોવામાં નિવૃત્ત નેવી ચીફને 'તમે કોણ છો?' સાબિત કરવા માટે ચૂંટણી પંચે 18 કિમી દૂર ધક્કો ખાવા કહ્યું; પેન્શન અને વેટરન કાર્ડ હોવા છતાં આ હેરાનગતિ કેમ? સોશિયલ મીડિયા પર આક્રોશ.

Election Commission Notice to Ex Navy Chief: દેશની રક્ષા માટે જીવન સમર્પિત કરનારા યોદ્ધાઓ સાથે વહીવટી તંત્ર કેવું વર્તન કરે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો ગોવા (Goa) માંથી સામે આવ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (Election Commission - EC) ની કામગીરી પર સવાલો ઉઠાવતી એક ઘટનામાં, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધના નાયક અને ભારતીય નૌકાદળના પૂર્વ વડા એડમિરલ અરુણ પ્રકાશ (Admiral Arun Prakash) ને તેમની ઓળખ સાબિત કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. 'વીર ચક્ર' વિજેતા અને 82 વર્ષીય નિવૃત્ત એડમિરલને આ ઉંમરે આવી નોટિસ મળતા સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
હાલમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (Voter List Revision) ચાલી રહ્યો છે. નિવૃત્તિ બાદ ગોવામાં સ્થાયી થયેલા એડમિરલ અરુણ પ્રકાશ અને તેમના પત્નીએ મતદાર યાદીમાં નામ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 2026 ની ડ્રાફ્ટ યાદીમાં નામ જોઈને તેઓ નિશ્ચિંત હતા. પરંતુ અચાનક પંચ દ્વારા તેમને એક 'સુનાવણી નોટિસ' મળી, જેમાં તેમને અને તેમના 78 વર્ષીય પત્નીને ઓળખની ચકાસણી માટે 18 કિલોમીટર દૂર આવેલી કચેરીએ અલગ-અલગ દિવસે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો.
એડમિરલનો વેધક સવાલ: "શું ડેટાબેઝ ચેક કરવો અઘરો છે?"
આ ઘટનાથી વ્યથિત થઈને પૂર્વ નેવી ચીફે સિસ્ટમની ખામીઓ પર આંગળી ચીંધી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "સરકાર પાસે અમારા પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), વેટરન કાર્ડ અને દર વર્ષે જમા થતા જીવન પ્રમાણપત્રનો ડેટાબેઝ છે. કીબોર્ડ પર માત્ર એક ક્લિક કરીને વિગતો મેળવવાને બદલે વરિષ્ઠ નાગરિકોને આ રીતે રૂબરૂ બોલાવીને હેરાન કરવા કેટલું યોગ્ય છે?" તેમણે સ્પષ્ટ કહ્યું કે સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે, નાગરિકોને પરેશાન કરવાની નહીં.
અધિકારીઓનો બચાવ: 'અનમેપ્ડ' કેટેગરીનું બહાનું
બીજી તરફ, દક્ષિણ ગોવાના કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, એડમિરલની વિગતો વર્ષ 2002 પછી સિસ્ટમમાં અપડેટ થઈ ન હોવાથી તેમનો સમાવેશ 'અનમેપ્ડ' (Unmapped) શ્રેણીમાં થયો હતો. નિયમ મુજબ આવા મતદારોની ભૌતિક ચકાસણી કરવી જરૂરી હોય છે. જોકે, અધિકારીઓએ હવે ખાતરી આપી છે કે તેઓ વ્યક્તિગત રીતે આ મામલે તપાસ કરશે અને એડમિરલનો સંપર્ક કરશે.
સોશિયલ મીડિયા પર ભભૂક્યો રોષ
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ સોશિયલ મીડિયા (Social Media) પર નેટીઝન્સ અને અન્ય નિવૃત્ત સૈન્ય અધિકારીઓએ ચૂંટણી પંચની ઝાટકણી કાઢી હતી. લોકો સવાલ કરી રહ્યા છે કે જે વ્યક્તિએ દેશની સેનાનું નેતૃત્વ કર્યું હોય, તેને ઓળખપત્ર માટે લાઈનમાં ઉભા રાખવા એ શરમજનક છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ પ્રોટોકોલ જાળવીને અધિકારીને એડમિરલના ઘરે મોકલે છે કે પછી નિયમોનું રટણ ચાલુ રાખે છે.






















