નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે નવા કેસમાંથી 50 ટકા કેસ માત્ર એક જ રાજ્ય કેરળમાંથી આવે છે.


કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20728 નવા કેસ આવ્યા છે જ્યારે 65 લોકોના મોત થયા છે. કુલ એક્ટિવ કેસ 1 લાક 67 હજાર 379 થઈ ગયા છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટવિ કેસ 78 હજાર 962 છે, કર્ણાટકમાં 24 હજાર 144 એક્ટિવ કેસ છે છે જ્યારે આંધ્ર પ્રદેશમાં 21 હજાર 19 અને તમિલનાડુમાં 20 હજાર 524 એક્ટિવ કેસ છે.


કોરોના સંક્રમણની R વેલ્યૂ વધવી એ છે વધારે ચિંતાજનક


કોરોનાના વધતા કેસ કરતાં પણ વધારે ચિંતાજનક એ વાત છે કે કોરોના સંક્રમણની R વેલ્યૂ વધી રહી છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિ જેટલી વ્યક્તિને કોરોનાથી સંક્રમિત કરે છે તેને R વેલ્યૂ કહે છે. જો એક વ્યક્તિ એક જ વ્યક્તિને સંક્રમિત કરે તો તેની R વેલ્યૂ 1 હશે, જ્યારે એક વ્યક્તિ બે વ્યક્તિને સંક્રમિત કરે તો R વેલ્યૂ 2 હશે.


શા માટે વધતી R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે


જે R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે તે કોરોનાની ગતિ વધારવામાં R વેલ્યૂની ભૂમિકા મહત્ત્વની છે. માર્ચ 2021માં જ્યારે દેશમાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે R વેલ્યૂ 1.37 હતી, ત્યાર બાદ એપ્રિલ 2021માં જ્યારે પ્રકોપ ઘટ્યો ત્યારે વેલ્યૂ 1.18 થઈ ગઈ. મે 2021માં R વેલ્યૂ 1.10, જૂન 2021માં વેલ્યૂ ઘટીને 0.96 થઈ ગઈ. પરંતુ જુલાઈના અંતિમ સપ્તાહમાં તેમાં વધારો થવાનો શરૂ થયો અને તે 1 પર પહોંચી ગઈ છે.


લોકો નહીં માને તો ટૂંકમાં જ આવશે ત્રીજી લહેર - એક્સપર્ટ્સ


દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં જુલાઈ દરમિયાન ઘટાડો આવ્યો હતો પરંતુ મહામારીથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જોકે જુલાઈના અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 30થી 40 હજારની વચ્ચે રહ્યો અ વાયરસથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જુલાઈમાં કોરોનાથી 25 હજારથી વધારે મોત થયા.


ડોક્ટોરનું કહેવું છે કે કોરોનાને લઈને જે રીતે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને જો લોકો નહીં માને તો ત્રીજી લહેર આવાવમાં મોડું નહીં થાય.