નવી દિલ્હી: કોરોના મહામારી બાદ મોબાઇલ અને ઇન્ટરનેટ પર લોકોની નિર્ભરતામાં નોંધપાત્ર વધારો થયો છે. આપણે ઈન્ટરનેટ પરથી ઘણી માહિતી લઈએ છીએ, પરંતુ કેટલીકવાર આપણને આ માધ્યમ પર ગેરમાર્ગે દોરનારી વસ્તુઓ પણ મળે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવા ઘણા મેસેજ જોવા મળી રહ્યા છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. આવો જ એક મેસેજ સોશિયલ મીડિયા પર આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈને લોનની જરૂર હોય તો તે મુદ્રા યોજના હેઠળ લોન લઈ શકે છે, જેમાં માત્ર 2% વ્યાજ ચૂકવવું પડશે. આ મેસેજની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી.


વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે મુદ્રા યોજના હેઠળ કેન્દ્ર સરકાર ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે જેથી લોકો કોરોના પછી પોતાનું કામ સરળતાથી શરૂ કરી શકે. આ મેસેજમાં એક નંબર પણ શેર કરવામાં આવ્યો છે જેના પર લોન માટે કોલ કરવો. PIB ના ફેક્ટ ચેકે તેના ટ્વિટર પરથી ચેતવણી આપી છે કે સરકાર આવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી અને આ મેસેજ ફેક છે.




PIBએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, છેતરપિંડીના હેતુ માટે મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુદ્રા યોજના હેઠળ 1 થી 5 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકા વ્યાજ પર મળી રહી છે. આ નાણાકીય છેતરપિંડીનો પ્રયાસ છે. આમાં વિશ્વાસ ન કરો અને આવી કોઈ શંકાસ્પદ લિંક્સ અથવા પ્લેટફોર્મ પર તમારી વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.