Kisan Protest in Punjab: શેરડીના કિંમતમાં વધારો કરવાની માંગ કરી રહેલા ખેડૂતોએ શનિવારે જલંધરમાં રેલવે ટ્રેક અને એક નેશનલ હાઇવેને જામ કરી દીધો છે. જેનાથી ટ્રેનના સંચાલન અને વાહનોની અવરજવર પર પ્રભાવિત થઇ હતી. ફિરોજપુર સંભાગના રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, 50 ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જ્યારે 54 ટ્રેનને અન્ય રસ્તા પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે.


શેરડી પકવતા ખેડૂતોએ અનિશ્વિત સમય સુધી આંદોલનની શરૂઆત કરી હતી. પંજાબ સરકાર પર શેરડીના બાકી નાણા અને શેરડીની કિંમતોમાં વધારો કરવા સંબંધિત માંગ સાથે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂતોએ આવશ્યક સેવાઓમાં જોડાયેલા વાહનોની અવરજવરની મંજૂરી આપી છે. જલંધન જિલ્લાના ધનોવલી ગામ નજીક પ્રદર્શનકારીઓએ નેશનલ હાઇવેના જલંધર-ફગવાડા રસ્તાને બ્લોક કરી દીધો હતો.


આ પ્રદર્શનના કારણે જલંધર, અમૃતસર, પઠાણકોટમાં ટ્રાફિક પ્રભાવિત થયો હતો. વહીવટીતંત્રએ કેટલાક વૈકલ્પિક માર્ગો પર વાહનોને ડાયવર્ટ કર્યા હતા. જલંધર-ચહેરુ ખંડ પર બેસેલા ખેડૂતોએ જલંધરમાં લુધિયાણા-અમૃતસર અને લુધિયાણા જમ્મુ રેલવે ટ્રેકને અવરોધ કર્યો હતો.


ખેડૂતોના મતે જ્યાં સુધી પંજાબ સરકાર શેરડીના પાકના સમર્થન મૂલ્યમાં વધારો નહી કરે ત્યાં સુધી આ ધરણા સતત ચાલુ રહેશે. પોલીસ વહીવટીતંત્રએ જલંધર અગાઉ જ ટ્રાફિક ડાયવર્ટ કરી દીધો હતો. દિલ્હીથી અમૃતસર અને ચંડીગઢથી અમૃતસર જનારા વાહનચાલકોએ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીકેયુ-દોઆબાના ખેડૂત નેતા એમએસ રાયે કહ્યું કે, જો સરકાર આજ સાંજ સુધીમાં અમારી સાથે વાતચીત નહી કરે તો અમે પંજાબ બંધનું આહવાન કરીશું. રક્ષાબંધનના કારણે અમે આવતીકાલથી બંધ કરવાનો પ્રયાસ નહી કરીએ.