આજે ફરી ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વાતચીત, ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Dec 2020 07:59 AM (IST)
ખેડૂતો અને સરકાર વચ્ચે 22 દિવસ બાદ આજે ફરી વાતચીત થશે. એક તરફ ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ છે.
દિલ્લી સિંધુ બોર્ડર પર બેઠેલા આ ખેડૂતોની બસ એક જ માગ છે કે કૃષિ કાયદો પરત ખેંચો. કૃષિ કાયદાને લઈ ખેડૂતોના આંદોલનનો આજે 35મો દિવસ છે. ત્યારે આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક મળવાની છે. ખેડૂત સંગઠનો સાથે બેઠક પહેલા કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે કૃષિમંત્રી નરેંદ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ વચ્ચે બેઠક મળશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક મળશે. ખેડૂતો અને સરકાર વચ્ચે 22 દિવસ બાદ આજે ફરી વાતચીત થશે. એક તરફ ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ છે. તો સરકાર પર પોતાના વલણ પર અડગ છે. અગાઉ ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે છ વખત બેઠક મળી છે. જોકે તમામ બેઠકોમાં સમજૂતી સાધી શકાય નથી. દિલ્લીની સિંધુ, ટિકરી, ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન યથાવત છે. બીજી તરફ આંદોલનકારી ખેડૂત સંગઠનોએ વાતચીતના એક દિવસ અગાઉ જ કહી દીધુ છે કે આ વાટાઘાટોમાં અમારી મૂળ માગણીઓ જ મુખ્ય એજન્ડા હોવો જોઇએ તો જ અમે આગળ વાતચીત ચલાવીશું. ખેડૂતોએ ચાર મુખ્ય માગણીઓ કરી છે જેમાં કાયદા પરત લેવા, ટેકાના ભાવ અંગે કાયદાકીય જોગવાઇ, પરાળી સળગાવવા અને ઇલેક્ટ્રિસિટી કાયદામાં સુધારા કરવા. આ પહેલા ખેડૂતો અને સરકાર વચ્ચેના પાંચમા રાઉન્ડની વાતચીત પાંચમી તારીખે થઇ હતી, જે બાદ નવ તારીખે મળવાના હતા પણ ખેડૂતોએ વાતચીતની જ ના પાડી દીધી હતી. બીજી તરફ દિલ્હીમાં આંદોલન પર બેઠેલા ખેડૂતો માટે ટોઇલેટ જેવી સુવિધા આપ્યા બાદ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર હવે મફતમાં વાઇફાઇ પણ શરૂ કરવા જઇ રહી છે. આપના નેતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતોને મફતમાં ઇન્ટરનેટ મળી રહે તે માટે ફ્રી વાઇફાઇ હોટસ્પોટ ઉભા કરાશે. ખેડૂતો પરિવારજનોની સાથે વાતચીત કરી શકે તે હેતુથી આ પગલુ ભરાઇ રહ્યું છે.