Operation Sindhu: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક ખાસ વિમાન ગુરુવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 90 જમ્મુ અને કાશ્મીરના છે, જે મુખ્યત્વે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓના પરિવારો એરપોર્ટ પર તેમના બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજસ્થાનના કોટાથી આવેલા એક પિતાએ કહ્યું હતું કે, "મારો પુત્ર ઈરાનમાં MBBS કરી રહ્યો હતો. તે હવે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ખાસ વિમાન દ્વારા પરત ફરી રહ્યો છે. હું ભારતીય દૂતાવાસનો આભાર માનું છું."

યુદ્ધ ક્ષેત્રમાંથી આવેલા વિદ્યાર્થીએ શું કહ્યું?

દિલ્હીમાં લેન્ડ થયા પછી વિદ્યાર્થી અમાન અઝહરે ANI ને કહ્યું હતું કે, "હું ખૂબ ખુશ છું. મારા પરિવારને મળ્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંના લોકો પણ આપણા જેવા જ છે, નાના બાળકો છે જે મુશ્કેલીમાં છે. યુદ્ધ કોઈ માટે સારું નથી. તે માનવતાનો નાશ કરે છે."

પરિવારોએ ભારત સરકારના આ ઝડપી પગલાની હૃદયપૂર્વક પ્રશંસા કરી પરંતુ તે જ સમયે તે વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી જે હજુ પણ ઈરાનના યુદ્ધ ક્ષેત્રમાં ખાસ કરીને તેહરાનમાં ફસાયેલા છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સલાહ આપી

15 જૂનના રોજ ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સત્તાવાર ચેનલો સાથે સંપર્કમાં રહેવા અપીલ કરી હતી.

ભારતની અપીલનો જવાબ આપતા ઈરાને તેના જમીન માર્ગો દ્વારા સુરક્ષિત સ્થળાંતરની ખાતરી આપી છે, કારણ કે ઈરાની હવાઈ ક્ષેત્ર હજુ પણ બંધ છે. વિદ્યાર્થીઓને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશો દ્વારા ત્યાંથી જવાની સલાહ આપવામાં આવી છે.

ઈરાનમાં રહે છે 4000 ભારતીય નાગરિકો

હાલમાં ઈરાનમાં 4000થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે ઈરાની અધિકારીઓ સાથે કામ કરી રહી છે.