Ashok Gehlot vs BJP 2026: આમ આદમી પાર્ટી (AAP) માં પડેલા મોટા ભંગાણ અને 7 નેતાઓના પક્ષપલટા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગેહલોતે આરોપ લગાવ્યો છે કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ડર બતાવીને દેશભરમાં લોકશાહીની હત્યા કરી રહી છે. સાથે જ તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, રાજસ્થાનમાં પણ ભાજપના નેતાઓ મને ઉશ્કેરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે જેથી હું સચિન પાયલટ વિરુદ્ધ કંઈક બોલું અને અમારી વચ્ચે ઝઘડો શરૂ થાય. પરંતુ, અમે એક છીએ અને ભાજપની આ ચાલ ક્યારેય સફળ નહીં થાય. આ સાથે જ તેમણે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહનો ભ્રમ હવે જલ્દી જ તૂટી જશે.

Continues below advertisement

મીડિયા સાથેની વાતચીતમાં અશોક ગેહલોતે દિલ્હીના રાજકારણનો હવાલો આપતા કહ્યું કે, "આખો દેશ જોઈ રહ્યો છે કે અત્યારે શું થઈ રહ્યું છે. બધી જ એજન્સીઓ તેમના (ભાજપના) કંટ્રોલમાં છે. તાજેતરમાં જ સાંસદ મિત્તલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા ભાજપે રાઘવ ચઢ્ઢાને હેરાન કર્યા અને દારૂ નીતિ કૌભાંડનો ડર બતાવીને પાર્ટી છોડી ગયેલા તમામ સાંસદોને ફસાવ્યા હતા. તેથી ભાજપ પોતાની આ ડરાવવા-ધમકાવવાની નીતિથી ખૂબ ખુશ હશે."

Continues below advertisement

ગેહલોતે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર સીધું નિશાન સાધતા કહ્યું કે, "પીએમ મોદી અને અમિત શાહ અત્યારે ભ્રમમાં જીવી રહ્યા છે, પણ હવે તેમનો આ ભ્રમ તૂટી જશે. દેશની જનતા સમજી ગઈ છે કે તેઓ માત્ર હિન્દુત્વના નામે રાજકારણ રમે છે. હિન્દુત્વને મજબૂત કરવા તેમણે લોકોમાં ઉશ્કેરણી કરવા સિવાય બીજું શું કર્યું છે? તેમની પાસે પોતાનું 'વોશિંગ મશીન' છે, જેમાં ગયા પછી બધું જ સારું થઈ જાય છે અને કોઈની સામે કોઈ કેસ રહેતો નથી. આ જ વોશિંગ મશીનનો ઉપયોગ કરીને તેમણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને તોડી નાખી હતી અને અહીં પણ કોઈ કસર છોડી નથી."

રાજસ્થાન કોંગ્રેસની એકતા પર ભાર મૂકતા પૂર્વ મુખ્યમંત્રીએ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ અને મદન રાઠોડ વારંવાર અમારી વિરુદ્ધ નિવેદનો આપે છે. તેઓ ઈચ્છે છે કે હું સચિન પાયલટનું નામ લઉં અને માનેસર વાળી ઘટના યાદ કરું. તેઓ ઈચ્છે છે કે હું પાયલટ વિરુદ્ધ બોલું એટલે અમારી વચ્ચે લડાઈ શરૂ થાય. મને કહો, તમે કેટલા ધારાસભ્યોનો હોર્સ ટ્રેડિંગ (ખરીદ-વેચાણ) કર્યો? પણ ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે, અમે એક જ છીએ."

ગેહલોતે ભૂતકાળ યાદ કરતા કહ્યું કે, "અમે ભાજપના ખરાબ ઈરાદાઓ અને ગેરવર્તનને કારણે 34 દિવસ સુધી હોટલમાં રહ્યા હતા. શું જનતા ભાજપના નેતાઓને નથી ઓળખતી? ભલે અમે ચૂંટણી હારી ગયા, પણ મોદી અને શાહે 5 લાખ અને 50 લાખના ખોટા આરોપો લગાવીને ખૂબ જુઠ્ઠાણું ફેલાવ્યું હતું. ચૂંટણી જીતવી એક વાત છે, પણ આ લોકો જે નાટક કરી રહ્યા છે તેવું બીજે ક્યાંય થતું નથી. પશ્ચિમ બંગાળમાં શું થઈ રહ્યું છે તે બધા જુએ જ છે. જો આજની નવી પેઢી અને દેશના લોકો ભાજપની આ રાજનીતિ નહીં સમજે તો સૌને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે."