જમ્મુમાં આજે ગુલામ નબી આઝારની અધ્યક્ષતામાં કૉંગ્રેસના નારાજ નેતાઓની એક બેઠક મળી હતી. ગાંધી ગ્લોબલ ફેમિલીની બેઠકમાં કૉંગ્રેસના તમામ નેતા સામેલ થયા હતા. આ શાંતિ સમ્મેલનમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેંદ્ર સિંહ હુડ્ડા, મનિષ તિવારી, રાજ બબ્બર જેવા કૉંગ્રેસના G-23 નેતા સામેલ થયા. કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલને નબળી થતી કૉંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની વાત કરી. સાથે જ તેમણે સવાલ પણ ઉઠાવ્યા કે કૉંગ્રેસ પાર્ટી ગુલામ નબી આઝાદના અનુભવનો ઉપયોગ કેમ નથી કરતી.




કપિલ સિબ્બલે કહ્યું, કૉંગ્રેસ પાર્ટી અમને નબળી થતી દેખાઈ રહી છે. અમે અહીં એકઠા થયા છીએ, અમારે પાર્ટીને મજબૂત કરવાની છે. ગુલામ નબી આઝાદ અનુભવી છે. દરેક પ્રદેશમાં કૉંગ્રેસની સાચી સ્થિતિથી પરિચિત છે. અમે નથી ઈચ્છતા કે તેમને સંસદમાંથી આઝાદી મળે. તેમના અનુભવનો કૉંગ્રેસ ઉપયોગ કેમ નથી કરી રહી.

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે આઝાદ એક સંકલ્પિત કોંગ્રેસી નેતા છે. આઝાદ એ નેતાઓમાંના એક છે જેઓ કોંગ્રેસને સમજે છે. કોંગ્રેસે અને દેશને આઝાદના દિશાનિર્દેશો અને માર્ગદર્શનની જરુર છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે કોઈ રાજ્યને વિભાજીત કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયા હોય તેવું પહેલા કદી બન્યું નથી. જમ્મુ કાશ્મીરને વિભાજીત કરી દેવાયું છે અને અમે બધા તેને માટે લડતા રહીશું.

કોંગ્રેસ નેતા રાજ બબ્બરે જણાવ્યું કે લોકો અમને જી-23 કહે છે પરંતુ હું તમને જણાવી દઉ કે અમે ગાંધી-23 છીએ અને ગાંધી 23 કોંગ્રેસની મજબૂતી ઈચ્છે છે. પાર્ટીના આદેશોને પગલે ચાલીને આઝાદ મોટા નેતા બન્યાં. તેમની નિવૃતી પર પણ પીએમ ભાવુક બન્યાં હતા. આઝાદ સાચા અર્થમાં લોકશાહી છે. કોંગ્રેસ એ પાર્ટી છે કે જ્યાં દરેકની સુનાવણી થાય છે. આ ગાંધીવાદીઓ અને કોંગ્રેસીઓની સંસ્કૃતિ અને પરંપરા રહી છે.