Gorakhnath Temple Attack: ઉત્તરપ્રદેશ સરકારે ગોરખનાથ મંદિર હુમલાના કેસને આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે આતંકવાદની શક્યતાને નકારી શકાય તેમ નથી. સમાચાર એજન્સી ANIએ આ અહેવાલ આપ્યો છે.આ ઘટના રવિવારે બની હતી જ્યારે એક વ્યક્તિ બળજબરીથી ગોરખનાથ મંદિરમાં ઘૂસી ગયો હતો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.


ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના  એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રશાંત કુમારે  સોમવારે ANIને જણાવ્યું હતું કે, "એક વ્યક્તિએ બળજબરીથી મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો."એડીજીએ ઉમેર્યું હતું કે, "આરોપીની ઓળખ ગોરખપુરના રહેવાસી અહેમદ મુર્તઝા અબ્બાસી તરીકે કરવામાં આવી છે."તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આ કેસ ATSને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કારણ કે અમે આ ઘટનામાં આતંકવાદી એંગલને નકારી શકતા નથી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે."


ગોરખપુરના એસએસપી, વિપિન ટાડાએ પણ જણાવ્યું હતું કે, "આરોપીએ ધાર્મિક નારા લગાવતા ગોરખનાથ મંદિરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેને અટકાવ્યો હતો.આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે," એસએસપીએ આગળ જણાવ્યું  કે આરોપી વિરુદ્ધ  ભારતીય દંડ સંહિતાની કલમ 301 (હત્યાનો પ્રયાસ), ફોજદારી કાયદા સુધારા અધિનિયમ, 1932 ની કલમ 7 હેઠળ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે," તેમણે કહ્યું.


 




દરમિયાન, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે રાજ્ય સરકારે રવિવારે બનેલી ઘટના અંગે સંજ્ઞાન લીધું છે, એએનઆઈએ અહેવાલ આપ્યો છે. તેમણે ટ્વિટ કર્યું, “ગોરખનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ અત્યંત દુઃખદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે. ”