નવી દિલ્લી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. મંગળવારે સદનમાં પીએમ મોદી સહિત અન્ય પક્ષના નેતાઓએ ગુલામ નબી આઝાદની પ્રશંસા કરતા અને તેમને ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી. ગુલામ નબી આઝાદ  ફેરવેલ સ્પીચ આપતા ભાવુક થયા હતા અને હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો .


‘હું નસીબદાર છું પાકિસ્તાન નથી ગયો’

રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે તેમણે સદનમાં રાજકિય સફરના કેટલાક યાદગાર કિસ્સા રજૂ કર્યા હતા. ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે,તેમણે  દેશભક્તિ ગાંધીજી, જવાહર લાલ નહેરૂ,  મૌલાના આઝાદે વાંચીને શીખી છે. તેમણે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીને યાદ કરતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમના કારણે જ અહીં સુધી પહોંચ્યો. તેમણે કાશ્મીરની પહેલાથી સ્થિતિ અને આજના હાલત વિશે વાત કરતા પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગુલામ નબીએ જણાવ્યું કે, “હું ખૂબ જ નસીબદાર છું કે, હું ક્યારેય પાકિસ્તાન નથી ગયો. હું જ્યારે વાંચું છું કે, પાકિસ્તાનમાં કેવી સ્થિતિ છે. ત્યારે હું હિન્દુસ્તાની મુસ્લિમ હોવાનું ગૌરવ અનુભવું છું. વિશ્વમાં જો કોઇ મુસ્લિમને ગૌરવનો અનુભવ થવો જોઇએ તો તે હિન્દુસ્તાની મુસ્લિમ છે.  પાકિસ્તાન સમાજમાં  જે બુરાઇ છે ખુદા કરે આપણા દેશની માનસિકતા ક્યારેય ન બને.