PM Modi Gaza Hospital Attack: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ મામલે જે પણ દોષિત છે તેને માફ કરવામાં નહી આવે.






ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં મોતથી ઉંડો આઘાત લાગ્યો છે. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરીએ છીએ. યુદ્ધમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.


વાસ્તવમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલ પર હુમલામાં 500 લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી.        


ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.