Haryana Assembly elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે શનિવારે ચંદીગઢમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. જેમાં મફત વીજળી, મફત સારવાર, મહિલાઓને આર્થિક મદદ, ખેડૂતોને MSPની ગેરંટી અને રાજ્યમાં જાતિ ગણતરી કરાવવા જેવા અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હરિયાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (HPCC) પ્રમુખ ઉદય ભાનની હાજરીમાં આ મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે હરિયાણાના દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાનું વચન આપ્યું છે.


કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટમાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "ભાજપે એક દાયકામાં હરિયાણાની સમૃદ્ધિ, તેના સપના અને શક્તિ છીનવી લીધી,"  તેમણે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કોંગ્રેસની આવનારી સરકાર દર્દના દશકનો અંત કરશે- દરેક હરિયાણાવાસીની આશા, આકાંક્ષાઓ અને સપનાઓ પૂરા કરવા અમારો સંકલ્પ છે."




મહિલાઓને દર મહિને 2000 રૂપિયાની મદદ 


મધ્યપ્રદેશની 'લાડલી બહેન યોજના' અને મહારાષ્ટ્રની 'લાડકી બેહન યોજના'ની જેમ કોંગ્રેસે પણ હરિયાણામાં 18 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. મેનિફેસ્ટોમાં ગેસ સિલિન્ડર માટે 500 રૂપિયા આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.


લોકસભા ચૂંટણીની જેમ, કોંગ્રેસે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી અને પાક માટે તાત્કાલિક વળતર આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે તે ખેડૂત આયોગની રચના કરશે અને ખેડૂતોને ડીઝલ પર સબસિડી આપશે.


ગરીબોને જમીન અને મકાનો


કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યના ગરીબ વર્ગને 200 યાર્ડ જમીન અને બે રૂમનું મકાન આપવાનું વચન આપ્યું છે. મેનિફેસ્ટોમાં બીજી મોટી વાત રાજ્યમાં જાતિ આધારિત સર્વે કરાવવાનું વચન છે. આ એક એવો વિચાર છે જેની કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી માંગ કરી રહી છે. આ સિવાય પાર્ટીએ કહ્યું છે કે તે ક્રીમી લેયરની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરશે. કોંગ્રેસે યુવાનોને બે લાખ કાયમી નોકરીઓ આપવા અને રાજ્યને નશા મુક્ત બનાવવાનું વચન આપ્યું છે.


જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનું વચન 


કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધ કોંગ્રેસે જૂની પેન્શન સ્કીમ (OPS)ને પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા માટે, પક્ષે વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ અને વૃદ્ધાવસ્થા પેન્શન હેઠળની વિધવાઓને, વિકલાંગ પેન્શન અને વિધવા પેન્શનને રૂ. 6000 આપવાનું વચન આપ્યું છે.