નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના મીડિયા અહેવાલને ગૃહમંત્રાલયે નકારી કાઢ્યા છે. દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને શાહનો કોરોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી. જો કે, થોડા સમય બાદ ગૃહ મંત્રલાય દ્વારા સ્પષ્ટતા કરી હતી કે, અમિત શાહનો બીજો કોરોના રિપોર્ટ હજુ નથી કરાવ્યો. તેના બાદ મનોજ તિવારીએ ટ્વીટ ડિલિટ કરી દીધું છે.




દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશના દિગ્ગજ ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓને કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં તેમમે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શાહ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા.

દેશમાં કોરોના વાયરસનો રોગચાળો ફેલાયા પછી દિલ્હીમાં તેના કેસ વધ્યા ત્યારે અમિત શાહ મોનેટરિંગ કરી રહ્યા હતા. પાટનગર દિલ્હી ખાતે તેઓ જાતે નિરિક્ષણ કરી રહ્યા હતા. તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને કોવિડ-19ની દરેક પળની અપડેટ લેતા હતા.