Atique Ahmed:  ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને સોમવારે (27 માર્ચ) પ્રયાગરાજની નૈની જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અતીક આખી રાત બેચેન રહ્યો અને આ દરમિયાન તે બેરેકમાં વારંવાર ફરતો રહ્યો.

Continues below advertisement


10 x 15 ચોરસ ફૂટની ઓરડીમાં રાખવામાં આવ્યો


અતીકને નૈની જેલમાં 10 x 15 ચોરસ ફૂટની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જેલ મેન્યુઅલ મુજબ અતીકને જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવી હતી. તેમને ટૂથપેસ્ટ, સાબુ અને ટૂથબ્રશ આપવામાં આવ્યા હતા. આ સાથે આતિકને ધાબળો અને ચાદર પણ આપવામાં આવી હતી.


અતીકે મોડી રાત્રે જેલ ગાર્ડને પૂછ્યું કે શું અશરફ આવ્યો છે ?


અતીકે જેલના કર્મચારીઓને વહેલી સવારે 4 વાગ્યે બહાર ફરવા માટે વિનંતી કરી. તેણે કહ્યું કે તે બેચેની અનુભવી રહ્યો છે અને માથાનો દુખાવો છે, તેથી તે ખુલ્લી હવામાં ફરવા માંગે છે. એટલું જ નહીં, અતીકે મોડી રાત્રે જેલ ગાર્ડને પૂછ્યું કે શું અશરફ આવ્યો છે.


સોમવાર સાંજે સાડા પાંચ વાગ્યે અતીકને લઇને પોલીસનો કાફલો નૈની જેલ પહોંચ્યો હતો. અતીકનો ભાઇ અશરફ પણ લગભગ દોઢ કલાક પછી સાંજે નૈની જેલ પહોંચ્યો હતો. અશરફને બરેલી જેલમાંથી લાવવામાં આવ્યો હતો.


અમદાવાદથી અતિક અહેમદને યુપી કરાયો શિફ્ટ


અતીક અહેમદ રવિવારે સાંજે અમદાવાદની સાબરમતીની કેન્દ્રીય જેલમાંથી પોલીસ કાફલાની સાથે નીકળ્યો હતો. લગભગ 13૦૦ કિમીનું અંતર 23 કલાક 30 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાફલો 12 વખત રસ્તામાં વિભિન્ન કારણોસર રોકાયો હતો.


ઉમેશ પાલ અપહરણ કેસમાં 28 માર્ચે એમપી-એમએલએ કોર્ટ નિર્ણય આપશે. આ કેસના મુખ્ય આરોપી અતીક અને તેનો ભાઇ અશરફ છે. અતીકને લગભગ ચાર વર્ષ પછી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે.


અતીકને ક્યારે લવાયો હતો અમદાવાદ


ગેંગસ્ટર અતીકને સુપ્રીમ કોર્ટના આદેશ પર 3 જૂન, 2019ના રોજ નૈની સેન્ટ્રલ જેલથી અમદાવાદની સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે તેને વારાણસીથી વિુમાન દ્વારા ત્યાં લઇ જવામાં આવ્યો હતો.


આ મહિનાની શરૃઆતમાં અતીક અહેમદે સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તને અને તેના પરિવારને પ્રયાગરાજને ઉમેશ પાલ હત્યાકાંડમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે અને ઉત્તર પ્રદેશ પોલીસ નકલી  એન્કાઉન્ટરમાં તેને મારી નાખે તેવી શક્યતા છે.