ભારતીય હવામાન વિભાગ (IMD) એ વર્ષ 2026 ના ચોમાસાને લઈને પોતાની પહેલી આગાહી જાહેર કરી દીધી છે, અને તે ખેડૂતો તેમજ સામાન્ય માણસ માટે થોડા ચિંતાજનક સમાચાર લઈને આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સરેરાશ કરતા ઓછો એટલે કે માત્ર 92% જેટલો જ વરસાદ થવાની શક્યતા છે. આ નબળા ચોમાસા પાછળ 'અલ નીનો' ની અસર જવાબદાર માનવામાં આવી રહી છે. ઓછો વરસાદ થવાથી ખેતી, મોંઘવારી, અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર સીધી અસર પડી શકે છે. જોકે, આ માત્ર પ્રાથમિક અંદાજ છે અને મે મહિનાના અંતમાં વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

અલ નીનો બગાડશે વરસાદનો માહોલ

IMD ના જણાવ્યા પ્રમાણે, મોડેલમાં 5% ની વધઘટ થઈ શકે છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે, પણ ચોમાસાની શરૂઆત થતાં જ 'અલ નીનો' સક્રિય થવાની પૂરી શક્યતા છે, જે વરસાદને નબળો પાડશે. જોકે, સિઝનના અંત ભાગમાં હિંદ મહાસાગરમાં 'પોઝિટિવ IOD' (ઈન્ડિયન ઓશન ડાયપોલ) જોવા મળી શકે છે, જે કદાચ થોડી રાહત આપી શકે.

Continues below advertisement
Continues below advertisement

કયા વિસ્તારોમાં રહેશે દુષ્કાળનો ડર?

ભલે હવામાન વિભાગે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર નથી કર્યો, પરંતુ આગાહી મુજબ ઉત્તર ભારતના ગંગાના મેદાનો, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ભારે અછત જોવા મળી શકે છે. દેશમાં બધે એકસરખો વરસાદ નહીં પડે. ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પ્રમાણમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મિશ્ર માહોલ જોવા મળશે.

સામાન્ય માણસ અને ખેડૂતો પર શું થશે અસર?

નબળું ચોમાસું સામાન્ય માણસના ખિસ્સા પર સીધો પ્રહાર કરશે. ઓછો વરસાદ ખેતી પર મોટું દબાણ ઊભું કરશે, જેનાથી વાવણીથી લઈને પાક ઉત્પાદન ઘટશે. ખાદ્ય ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને કઠોળના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. ખેતી નબળી પડતાં ગામડાંઓમાં લોકોની આવક ઘટશે, જેની સીધી અસર ટ્રેક્ટર અને ટુ-વ્હીલરના વેચાણ પર પડશે. બીજી તરફ, નદી અને ડેમોમાં પાણીનું સ્તર ઘટશે અને ગરમી વધવાથી વીજળીની માંગ પણ આસમાને પહોંચશે.

ભૂતકાળમાં પણ અલ નીનોએ બગાડ્યો છે ખેલ

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અલ નીનો આવે છે, ચોમાસું ખોરવાય છે. આંકડા પર નજર કરીએ તો 2002 માં 19%, 2004 માં 14%, 2009 માં 22% અને 2015 માં 14% ઓછો વરસાદ નોંધાયો હતો, અને ત્યારે પણ દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. આની અસર છેક શેરબજાર સુધી જોવા મળે છે, ખાસ કરીને ખેતી, ટ્રેક્ટર ઉત્પાદન અને ગ્રામીણ માંગ પર આધારિત કંપનીઓના શેર પર દબાણ વધે છે.

અત્યારે તો બજાર અને ખેડૂતોની નજર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવનારી IMD ની બીજી અને વિગતવાર આગાહી પર ટકેલી છે. હાલ પૂરતું, દેશમાં અલગ-અલગ જગ્યાએ (જેમ કે દક્ષિણપૂર્વ પાકિસ્તાન-રાજસ્થાન બોર્ડર અને આસામ-બિહાર પર) ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે, જે સ્થાનિક હવામાનમાં ફેરફાર લાવી રહી છે.