Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 2483 નવા કેસ નોંધાયા છે અને 1399 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે.


એક્ટિવ કેસમાં થયો ઘટાડો


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 15,636 થઈ છે. ગઈકાલે એક્ટિવ કેસની સંખ્યા 16,522 હતી. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,622 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,23,311 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,97,76,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 22,83,224 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  





બૂસ્ટર ડોઝ કેટલો અસરદાર ?  જાણો શું છે એક્સપર્ટનો મત


 દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. દરમિયાન, દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના એમડી ડૉ. સુરેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે કોવિડ રસીની સાવચેતીભરી માત્રા એટલે કે બૂસ્ટર ડોઝ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે. તેથી જ દરેક વ્યક્તિએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ જેથી કરીને તમે તમારા પરિવાર અને સમાજને આ રોગચાળાથી બચાવી શકો. ANI સાથે વાત કરતા ડૉ. કુમારે કહ્યું, "કોરોના રસીના બૂસ્ટર ડોઝની દેશમાં વધી રહેલા કેસ પર મોટી અસર પડશે. તેમણે કહ્યું કે દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મફતમાં ઉપલબ્ધ છે, તેથી દરેક વ્યક્તિએ બૂસ્ટર ડોઝ મેળવવો જોઈએ. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે."


તેમણે કહ્યું, “આપણે જોયું છે કે કોરોનાના બે ડોઝ પછી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના લોકો એવા છે જેમની રસીકરણ અધૂરી છે. ત્રીજો ડોઝ પરિવાર અને સમાજની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.


ભારતમાં ચોથી લહેર આવશે ?


ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ચોથી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.