Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત 10માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં ચાર દિવસથી 1500 કરતાં ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1233 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1259 નવા કેસ અને 35 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 1270 નવા કેસ અને 31 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે દેશમાં 1421 નવા કેસ અને 49 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 1660 નવા કેસ અને 4100 દર્દીના મોત થયા હતા.


એક્ટિવ કેસ 15 હજારથી ઓછા


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 674 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 14,704 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,101 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,85,534 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 183,82,41,743 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 26,34,080 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.





ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તે ઉપરાંત બ્રિટન સહિત યુરોપના ઘણાં દેશોમાં કોરોનાનો તરખાટ મચ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જોયા બાદ ભારતમાં પણ ચોથી લહેરની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે સ્વાસ્થ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.