નવી દિલ્હી: ભારત દુનિયામાં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. આ પહેલા ત્રીજા નંબરે મેક્સિકો હતું, જ્યાં 63,146 લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. ભારતમાં મૃત્યુઆંક વધીને 63,498 પર પહોંચી ગયો છે. કોરોનાથી મોત મામલે અમેરિકા પ્રથમ નંબરે છે. જ્યા એક લાખ 86 હજાર 855 લોકોના મોત થઈ ચૂક્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 78,761 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 948 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 35 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી 63,498 લોકોનું મૃત્યુ થયું છે. એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 65 હજાર થઈ ગઈ છે અને 27 લાખ 13 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોના દર્દીઓની રિકવરી સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
મૃત્યુદરમાં ઘટાડો


રાહતની વાત એ છે કે, દેશમાં મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર હાલ 1.80 ટકા છે. તે સિવાય એક્ટિવ કેસ દર પણ ઘટીને 22 ટકા થઈ ગયો છે. તેની સાથે રિકવરી રેટ પણ 76 ટકા થઈ ગયો છે.
એક્ટિવ કેસ મામલે ટોપ-5 રાજ્ય

દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધુ એક્ટિવ કેસ છે. તેના બાદ ક્રમશ: તમિલાનડુ, દિલ્હી, ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે.

ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસ મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી મોત મામલે પણ ત્રીજા નંબરે છે. સાથે ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 55 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 8 લાખ 45 હજાર 955 લોકોનાં મોત થઈ ચૂકી છે. જ્યારે 1 કરોડ 75 લાખ લોકો સ્વસ્થ થયા છે. દુનિયામાં 68 લાખ 9 હજાર એક્ટિવ કેસ છે.