ભારતે ઇબોલા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ પરિસ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારે આ એડવાઇઝરી બહાર પાડી છે.
ભારત સરકારે માત્ર પ્રવાસ ટાળવાની જ નહીં પરંતુ આ ત્રણ દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનોનું પાલન કરવાની સલાહ આપી છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ એડવાઇઝરીમાં જણાવાયું છે કે,“ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને અન્ય પ્રભાવિત દેશોમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા WHOની ભલામણો અનુસાર, ભારત સરકાર પોતાના તમામ નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપે છે.”
આ નિર્ણય વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ઇબોલા ફેલાવાને વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી જાહેર કર્યા બાદ લેવામાં આવ્યો છે.
WHO દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે,“ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલા રોગના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, WHOએ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR) 2005 હેઠળ 17 મે, 2026ના રોજ આ પરિસ્થિતિને Public Health Emergency of International Concern (PHEIC) તરીકે જાહેર કરી છે.”
વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ બુંડિબુગ્યો વાયરસના ફેલાવાને રોકવા માટે તાત્કાલિક ભલામણો પણ જાહેર કરી છે. 22 મેના રોજ જાહેર કરાયેલા નવા માર્ગદર્શનો અનુસાર પ્રભાવિત દેશોના આરોગ્ય વિભાગોને આંતરરાષ્ટ્રીય સરહદી ચેકપોસ્ટ પર રોગચાળો શોધવા માટે દેખરેખ વધુ કડક બનાવવા જણાવાયું છે.
ખાસ કરીને એવા મુસાફરો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે જેમને અજાણ્યા કારણોસર તાવ હોય અને જે વાયરસ પ્રભાવિત વિસ્તારોમાંથી આવ્યા હોય. આવા મુસાફરોની ઓળખ, તપાસ, રિપોર્ટિંગ અને સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવાની ભલામણ કરવામાં આવી છે.
આ ઉપરાંત WHOએ ઇબોલા વાયરસના કેસ નોંધાયેલા વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવાની પણ સલાહ આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોને આપેલી સલાહ WHOની નવી માર્ગદર્શિકાને અનુરૂપ છે.
શું છે ઇબોલા રોગ?
ઇબોલા એક ગંભીર વાયરસજન્ય હેમોરેજિક ફીવર છે, જે બુંડિબુગ્યો વાયરસ સ્ટ્રેઇનથી ફેલાય છે. આ રોગ માનવ જીવન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે અને તેની મૃત્યુદર પણ ઊંચો છે.હાલમાં બુંડિબુગ્યો સ્ટ્રેઇન સામે કોઈ વેક્સિન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. તેથી રોગનું વહેવું નિદાન અને ઝડપથી નિયંત્રણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.ભારતમાં અત્યાર સુધી ઇબોલાનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે.
