India-US Deal: શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? પીયૂષ ગોયલે આપ્યો આ જવાબ
India US Trade Deal: વાણિજ્ય મંત્રીની સ્પષ્ટતા, તેલ ખરીદીનો નિર્ણય વિદેશ મંત્રાલય કરશે, ભારત શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા સ્વતંત્ર; ડેરી અને અનાજ જેવા સેક્ટરમાં અમેરિકાને નો-એન્ટ્રી, ખેડૂતોના હિતો સુરક્ષિત.

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક 'વેપાર કરાર' (Trade Deal) ને લઈને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા સવાલો વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) મોરચો સંભાળ્યો છે. ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા પર કે "ભારત હવે રશિયા પાસેથી તેલ (Russian Oil) ખરીદવાનું બંધ કરશે", ગોયલે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. આ ઉપરાંત, તેમણે ભારતીય ખેડૂતો અને 'આત્મનિર્ભર ભારત' (Atmanirbhar Bharat) ને આ ડીલથી કેવી રીતે રક્ષણ મળ્યું છે તેની વિગતો પણ જાહેર કરી હતી.
શનિવારે પત્રકારો સાથે વાત કરતા પીયૂષ ગોયલે રશિયા પાસેથી તેલ ખરીદવા કે બંધ કરવાના પ્રશ્નનો સીધો હા કે નામાં જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, "આ વિષય 'વિદેશ મંત્રાલય' (Ministry of External Affairs - MEA) ના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેઓ જ તેના પર યોગ્ય સમયે નિર્ણય લેશે."
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે પોતાના નાગરિકોના હિતમાં જ નિર્ણય લેશે. જે દેશ (નોન-સેંકશન્ડ એન્ટિટી) ભારતને સૌથી સસ્તા ભાવે અને શ્રેષ્ઠ શરતોએ તેલ આપશે, ભારત ત્યાંથી ખરીદી ચાલુ રાખવા માટે સ્વતંત્ર છે. એટલે કે, સસ્તું તેલ જ્યાંથી મળશે, ત્યાંથી ભારત ખરીદશે તેવો સંકેત મળે છે.
વિપક્ષના આક્ષેપોને ફગાવતા ગોયલે ખાતરી આપી હતી કે આ ડીલમાં ભારતીય ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે. ખેડૂતોને ડરવાની કોઈ જરૂર નથી કારણ કે ભારત જે વસ્તુઓમાં આત્મનિર્ભર છે, તેને કરારમાંથી બાકાત રાખવામાં આવી છે. અમેરિકાથી આવતા જીનેટિકલી મોડિફાઈડ (GM) પાક, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ (Dairy Products) તથા મરઘાં (Poultry) ને ભારતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
આ 'નો-એન્ટ્રી લિસ્ટ' (No-Entry List) લાંબુ છે. જેમાં સોયાબીન, મકાઈ, ઘઉં, ચોખા, ખાંડ અને બાજરી-જુવાર જેવા બરછટ અનાજને ભારતમાં ઓછા ટેરિફથી પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત કેળા, સ્ટ્રોબેરી, સાઈટ્રસ ફ્રૂટ્સ, ગ્રીન ટી, તેલીબિયાં અને તમાકુ પર પણ કોઈ છૂટછાટ આપવામાં આવી નથી, જેથી સ્થાનિક બજાર સુરક્ષિત રહે.
ગોયલે આંકડાકીય માહિતી આપતા કહ્યું કે અમેરિકાએ અન્ય દેશોની સરખામણીએ ભારતને મોટી રાહત આપી છે. અમેરિકા ચીન પર 35%, વિયેતનામ અને બાંગ્લાદેશ પર 20% અને ઈન્ડોનેશિયા પર 19% ટેરિફ લગાવે છે, જેની સામે ભારત પરનો ટેક્સ ઘણો ઓછો છે. હવે ભારતથી નિકાસ થતા મસાલા, ચા, કોફી, નારિયેળ, કાજુ અને સ્માર્ટફોન જેવા ઉત્પાદનો અમેરિકામાં 0% (શૂન્ય) ટેરિફ સાથે જશે, જેનાથી ભારતીય નિકાસકારોને બમ્પર ફાયદો થશે.
અંતમાં પીયૂષ ગોયલે વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. સંસદમાં ચર્ચા અંગે તેમણે કહ્યું કે, "બધી જ વિગતો સંસદમાં વાંચી શકાતી નથી, કેટલીક બાબતો સીધી જનતા સુધી પહોંચાડવી જરૂરી હોય છે. આ સોદાથી દેશના દરેક સેક્ટરમાં આનંદની લહેર છે અને ભારતની આર્થિક પ્રગતિને વેગ મળશે."






















