ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે LPGની અછત સર્જાતા રેલવેના કેટરિંગ વિભાગ પર અસર પડી છે. આ કારણે ગરમાગરમ ભોજનની સુવિધા કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે.
ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર: ટ્રેનોમાં રાંધેલું ભોજન હંગામી ધોરણે બંધ થઈ શકે છે, IRCTCએ વિક્રેતાઓને ઈન્ડક્શન અને માઈક્રોવેવ વાપરવા આપી કડક સૂચના.

- LPG કટોકટીને કારણે રેલવે ભોજન સેવાઓ બંધ કરી શકે છે.
- IRCTC ઇલેક્ટ્રિક અને માઇક્રોવેવ ઉપકરણોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે.
- ઘરેલું PNG અને CNG પુરવઠો યથાવત રહેશે.
- આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો ઘરેલું વપરાશને પ્રાથમિકતા આપશે.
જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્વિક LPG કટોકટીની અસર હવે સીધી ભારતીય રેલવે પર જોવા મળી રહી છે. પરિસ્થિતિ એવી છે કે મુસાફરી દરમિયાન તમારે ઘરેથી જ ટિફિન લઈને નીકળવું પડે તો નવાઈ નહીં!
ગરમાગરમ ભોજનને બદલે રિફંડ મળી શકે છે!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ભારત સહિત ઘણા દેશોમાં LPG અને LNG ગેસની ભારે અછત ઊભી થઈ છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ, ગેસના સિલિન્ડર ન મળવાના કારણે રેલવેના કેટરિંગ વિભાગને માઠી અસર પહોંચી છે. આ કારણે રેલવે ટ્રેનોમાં અપાતા ગરમાગરમ રાંધેલા ભોજનની સુવિધાને હંગામી ધોરણે (ટેમ્પરરી) બંધ કરવા પર વિચાર કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, જે મુસાફરોએ ટિકિટ સાથે જમવાનું પ્રી-બુક કરાવ્યું છે, તેમને પૈસા પાછા (રિફંડ) આપવાની પણ વિચારણા ચાલી રહી છે.
IRCTCનો જુગાડ: ગેસ નહીં, હવે વીજળીથી રસોઈ!
આ કટોકટીને પહોંચી વળવા ભારતીય રેલવેએ તેના તમામ ફૂડ વિક્રેતાઓને વૈકલ્પિક રસોઈ પદ્ધતિઓ અપનાવવા જણાવી દીધું છે.
IRCTCએ રેલવે સ્ટેશન પર આવેલા ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને ખાણી-પીણીના તમામ સ્ટોલને ગેસને બદલે માઈક્રોવેવ ઓવન અને ઈલેક્ટ્રિક ઈન્ડક્શન વાપરવા કડક સૂચના આપી છે.
સામાન્ય રીતે ટ્રેનની પેન્ટ્રી કારમાં ભોજન માત્ર ગરમ થતું હોય છે, પરંતુ રસોઈ તો 'બેઝ કિચન'માં જ બને છે. ત્યાં ગેસ ન હોવાથી લાંબા અંતરની ટ્રેનો માટે જમવાનું બનાવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.
મુસાફરો ભૂખ્યા ન રહે તે માટે IRCTCએ સ્ટેશનો પર 'રેડી-ટુ-ઈટ' (તૈયાર ભોજન) ના પેકેટ્સનો પૂરતો સ્ટોક રાખવા પણ આદેશ આપ્યો છે.
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર: ઘરમાં ગેસ આવતો રહેશે!
આ બધા વચ્ચે એક સારી વાત એ છે કે સામાન્ય ઘરવપરાશના ગેસ પર આની કોઈ અસર નહીં થાય.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ખાતરી આપી છે કે ઘરોમાં વપરાતો PNG અને વાહનો માટેનો CNG 100% મળતો રહેશે.
ઉદ્યોગોને પણ તેમની જરૂરિયાતનું 70 થી 80% ઈંધણ મળવાનું ચાલુ રહેશે.
સરકારે લાગુ કર્યો નવો નિયમ
ઘરવપરાશના ગેસનો પુરવઠો અકબંધ રહે તે માટે સરકારે 'આવશ્યક ચીજવસ્તુઓનો કાયદો' લાગુ કરી દીધો છે. આ નવા નિયમ મુજબ, સૌથી પહેલી પ્રાથમિકતા ઘરેલુ ગ્રાહકોને આપવામાં આવશે અને તેમને ગેસનો પૂરો સપ્લાય મળશે. જ્યારે અન્ય ક્ષેત્રોને છેલ્લા છ મહિનાના તેમના સરેરાશ વપરાશના આધારે લિમિટમાં ગેસ ફાળવવામાં આવશે.
Frequently Asked Questions
રેલવેમાં ભોજનની સુવિધા પર શું અસર થઈ રહી છે?
શું પ્રી-બુક કરેલા ભોજન માટે રિફંડ મળશે?
હા, જે મુસાફરોએ ટિકિટ સાથે જમવાનું પ્રી-બુક કરાવ્યું છે, તેમને પૈસા પાછા (રિફંડ) આપવાની વિચારણા ચાલી રહી છે.
IRCTC ભોજનની સમસ્યાને પહોંચી વળવા શું કરી રહ્યું છે?
IRCTCએ ફૂડ વિક્રેતાઓને ગેસને બદલે ઇલેક્ટ્રિક ઈન્ડક્શન અને માઈક્રોવેવ ઓવન વાપરવા કહ્યું છે. સ્ટેશનો પર 'રેડી-ટુ-ઈટ' ભોજનના પેકેટનો સ્ટોક પણ રાખવામાં આવશે.
શું ઘરેલુ LPG ગેસ પુરવઠા પર અસર થશે?
ના, સામાન્ય ઘરવપરાશના LPG ગેસ (PNG) અને CNG પુરવઠા પર કોઈ અસર નહીં થાય. સરકાર તેની ખાતરી આપી ચૂકી છે.






















