નવી દિલ્હી:  અમૃતસરથી અમદાવાદ આવતી  ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના લાહોરમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછા ફરતા પહેલા વિમાન ગુજરાંવાલા સુધી પહોંચી ગયું હતું. આ અંગે એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિક મીડિયાએ રવિવારે આ જાણકારી આપી છે.


ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E645 પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી. ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી અને પછી સુરક્ષિત ભારતીય એરસ્પેસમાં પરત ફરી હતી.  પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ લાહોર નજીક પાકિસ્તાનમાં ભટકી ગઈ અને ગુજરાંવાલા પહોંચી ગઈ હતી.   


વિમાન 7:30 વાગ્યે લાહોરમાં પ્રવેશ્યું હતું


એક અગ્રણી પ્રમુખ  અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે કે 453 સુમુદ્રી મીલની ગ્રાઉન્ડ સ્પીડ સાથે ભારતીય વિમાન શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે લાહોરમાં પ્રવેશ્યું હતું અને 8.15 વાગ્યે ભારત પરત ફર્યું હતું.


પીઆઈએનું વિમાન પણ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું


અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (CAA) ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તે એક સામાન્ય ઘટના છે કારણ કે ખરાબ હવામાનમાં તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી આપવામાં આવી હતી. મે મહિનામાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું એક વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું અને પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે લગભગ 10 મિનિટ સુધી અહીં રોકાઈ રહ્યું હતું.


પાકિસ્તાનના વિમાનને લેન્ડિંગમાં પણ મુશ્કેલી પડી હતી


ફ્લાઇટ PK-248 4 મેના રોજ મસ્કતથી પરત ફરી રહી હતી અને લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે ભારે વરસાદને કારણે પાયલોટ માટે બોઇંગ 777 એરક્રાફ્ટને લેન્ડ કરવું મુશ્કેલ બન્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનમાં ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર  લો વિઝિબિલીટીના કારણે વિલંબ થયો હતો.


ચાર વર્ષ પહેલા પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેમની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ત્યારથી ભારત પાકિસ્તાનની એરસ્પેસનો ઉપયોગ નથી કરતું. પરંતુ આ સ્થિતિમાં પાકિસ્તાનને તેની એરસ્પેસ આપવી પડી હતી.  ખરાબ હવામાનની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કોઈપણ દેશ તેમની હવાઈ સ્પેસ આપવાનો ઇનકાર કરી શકે નહીં.