Iran Israel Conflict: ઈઝરાયલ સાથે તણાવ વચ્ચે ઈરાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે (14 જૂન, 2025) જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં 224 લોકો માર્યા ગયા છે અને 1200થી વધુ ઘાયલ થયા છે. મંત્રાલયના પ્રવક્તા હુસૈન કેરમાનપોરે જણાવ્યું હતું કે 65 કલાકના ઈઝરાયલી બોમ્બમારા બાદ કુલ 1277 લોકો ઘાયલ થયા છે અને 224 લોકો માર્યા ગયા છે તેમાં મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે 90 ટકા મૃતકો નાગરિકો હતા.

ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે કહ્યું હતું કે ઈરાનના ગુપ્તચર વડા મોહમ્મદ કાઝમી અને બે અન્ય જનરલો પણ આ હુમલામાં માર્યા ગયા છે. આ ઉપરાંત, આ હુમલામાં ઘણા ઉચ્ચ સ્તરીય લશ્કરી અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઈરાન સાથેના તણાવ પર ઈઝરાયલે શું કહ્યું?

ઈઝરાયલનું કહેવું છે કે શુક્રવાર (12 જૂન, 2025) થી દેશમાં 14 લોકો માર્યા ગયા છે અને 390 લોકો ઘાયલ થયા છે. AFP અનુસાર, એક વરિષ્ઠ ઈરાની લશ્કરી અધિકારીએ રવિવારે ચેતવણી આપી હતી કે ઇઝરાયલના હુમલાઓનો બદલો લેવામાં આવશે. કર્નલ રેઝા સય્યાદે કહ્યું હતું કે ઈરાનના બહાદુર સૈનિકોની જવાબી કાર્યવાહી સમગ્ર ઇઝરાયલ (કબજા હેઠળનો વિસ્તાર) ને ઘેરી લેશે. તેમણે કહ્યું હતું કે, "ઇઝરાયલના કબજા હેઠળના વિસ્તારો છોડી દો, કારણ કે ભવિષ્યમાં તેઓ રહેવા લાયક રહેશે નહીં. આશ્રયસ્થાનો પણ તમારું રક્ષણ કરી શકશે નહીં."

ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રહેશે: નેતન્યાહૂ

રવિવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમનો દેશ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. તેમનું કહેવું છે કે ઈરાનના પરમાણુ સ્થળો ઇઝરાયલ અને તેના સાથીઓ માટે ખતરો છે તેથી તેમને નષ્ટ કરવા જરૂરી છે. નેતન્યાહૂએ કહ્યું હતું કે, "અમારા બે મુખ્ય ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે અમે જે કંઈ પણ જરૂરી હશે તે કરીશું. પહેલો પરમાણુ શસ્ત્રોનો ખતરો અને બીજો મિસાઇલ હુમલાઓનો ખતરો."

તેમણે એમ પણ કહ્યું હતું કે, "અમે આ પગલું આપણી પોતાની સુરક્ષા માટે લીધું છે પરંતુ અમારું લક્ષ્ય ફક્ત પોતાને બચાવવાનું જ નહીં પણ આ ખતરનાક સરકારથી વિશ્વને બચાવવાનું પણ છે. વિશ્વની સૌથી ખતરનાક સરકાર પાસે સૌથી ખતરનાક શસ્ત્રો ન હોવા જોઈએ."