હાલમાં ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના તંગ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક મેસેજ આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે. જોકે, હકીકત એ છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને આ માત્ર 1 એપ્રિલની (April Fool) મજાક છે. એક સરકારી આદેશ જેવી દેખાતી PDF ફાઈલ લોકોમાં ગભરાટ ફેલાવી રહી છે, પરંતુ તેને ખોલતા જ અંદરથી એપ્રિલ ફૂલનો મેસેજ નીકળે છે. સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ જ આદેશ કે લોકડાઉનનો પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી, તેથી લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.

વાયરલ લોકડાઉન નોટિસમાં શું દાવો કરાયો છે?

વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 'WAR LOCKDOWN NOTICE' નામની એક PDF ફાઈલ લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. આ ફાઈલ જોવામાં બિલકુલ કોઈ સત્તાવાર સરકારી આદેશ જેવી જ લાગે છે. તેને સાચી સાબિત કરવા માટે તેમાં રાષ્ટ્રીય પ્રતીક 'અશોક ચક્ર'નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પીડીએફમાં એવું કહેવામાં આવ્યું છે કે યુદ્ધની કટોકટીને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને લોકોને તાત્કાલિક સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. આ નોટિસનો લુક એટલો પ્રોફેશનલ છે કે લોકોએ તેને વાંચ્યા કે સમજ્યા વગર જ ડરના માર્યા ફોરવર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું.

Continues below advertisement
Continues below advertisement

આ વાયરલ નોટિસ પાછળનું અસલી સત્ય શું છે?

જ્યારે આ વાયરલ દસ્તાવેજ એટલે કે PDF ફાઈલને ડાઉનલોડ કરીને ખોલવામાં આવે છે, ત્યારે જ તેનું સાચું સત્ય બહાર આવે છે. ખરેખર, આ કોઈ સરકારી ચેતવણી કે આદેશ નથી. જ્યારે તમે ફાઈલ ખોલો છો, ત્યારે અંદર માત્ર "એપ્રિલ ફૂલ ડે" (April Fool's Day) નો એક સામાન્ય મેસેજ અને એક હસવાવાળું ઈમોજી જોવા મળે છે. જે દર્શાવે છે કે આ બધું માત્ર કોઈની મસ્તી હતી. મોટાભાગના લોકોએ પીડીએફ ખોલીને અંદરનું લખાણ વાંચવાની તસ્દી લીધી ન હતી અને ગભરાટમાં ને ગભરાટમાં તેને શેર કરી દીધી હતી.

1 એપ્રિલનું કનેક્શન અને સરકારની સ્પષ્ટતા

આ ખોટો મેસેજ ફેલાવા પાછળનું મુખ્ય કારણ 1 એપ્રિલની તારીખ છે. સામાન્ય રીતે આ દિવસે લોકો સોશિયલ મીડિયા પર મિત્રો સાથે આવી મજાક-મસ્તી અને ફેક પોસ્ટ શેર કરતા હોય છે. નોંધવા જેવી વાત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધ કે લોકડાઉનને લઈને કોઈ જ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. હકીકતમાં, સરકારે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી છે કે હાલમાં દેશમાં કોઈપણ પ્રકારના લોકડાઉન માટેનો કોઈ જ પ્રસ્તાવ કે વિચાર સરકાર સમક્ષ નથી.

અફવાઓથી સાવધાન રહો

સોશિયલ મીડિયા પર ફરતી આ પોસ્ટ માત્ર એક ભ્રામક મજાક છે. તેની ભાષા અને લેઆઉટ એ રીતે સેટ કરવામાં આવ્યા હતા કે સામાન્ય માણસ તેને સાચી માની બેસે. આ વાયરલ પોસ્ટ એ વાતનો પુરાવો છે કે ખોટી માહિતી અને ડર દ્વારા સોશિયલ મીડિયા પર અફવાઓ કેટલી રોકેટ ગતિએ ફેલાય છે. નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે વોટ્સએપ કે ફેસબુક પર આવતા કોઈપણ સનસનાટીભર્યા મેસેજને ફોરવર્ડ કરતા પહેલા, હંમેશા કોઈ સત્તાવાર ન્યૂઝ ચેનલ કે સરકારી વેબસાઈટ પર જઈને તેની ખરાઈ ચોક્કસથી કરી લેવી જોઈએ.