જમ્મુ અને કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં શુક્રવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા હતા. જેમાંથી એક જવાનનું સારવાર દરમિયાન જીવ ગૂમાવ્યો હતો. ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે આ અથડામણ કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં થઈ હતી. 






સેનાએ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઘાયલ સુરક્ષાકર્મીઓમાંથી એકને સારવાર માટે નજીકની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ જવાનોને સ્થાનિક સારવાર આપવામાં આવી રહી છે. 


ગુપ્ત માહિતીના આધારે, સેનાએ શુક્રવારે કિશ્તવાડના ચત્રુ વિસ્તારમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા હિંસાની છૂટાછવાયા બનાવો જોવા મળી રહ્યા છે. આગામી ચૂંટણી આ પ્રદેશમાં 10 વર્ષમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. 


બુધવારે, કેન્દ્રશાસિત પ્રદેશમાં કઠુઆ-ઉધમપુર સરહદ નજીક બસંતગઢમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા હતા.  આ પહેલા ઉધમપુર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા અર્ધલશ્કરી દળો અને પોલીસના જવાનો બસંતગઢ પહોંચ્યા અને વિસ્તારને ઘેરી લીધો હતો.


જમ્મુના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારમાં સીમા સુરક્ષા દળ (BSF) ના એક જવાન ઘાયલ થયાના કલાકો બાદ આ એન્કાઉન્ટર થયું હતું.   


11 સપ્ટેમ્બરે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા


આ પહેલા 11 સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઉધમપુર જિલ્લાના બસંતગઢના ઉપરના વિસ્તારોમાં એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM) સંગઠનના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર સ્થળ પરથી બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ બંને પાકિસ્તાનના રહેવાસી હતા. એટલું જ નહીં, તેમની પાસેથી એક એમ-4 કાર્બાઇન, એક એકે રાઇફલ, એક પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો અને ખાદ્યપદાર્થો મળી આવ્યા હતા.