નવી દિલ્હીઃ ભારતીય સેનાએ છેલ્લા બે દિવસથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે જબરદસ્ત કાર્યવાહી શરૂ કરી દીધી છે. બે દિવસમાં સેનાએ 9 આતંકીઓને ઠાર માર્યા છે, સેનાની આ એક્શન જોઇને હવે કાશ્મીરમાં ઘાટીમાં છુપાયેલા લશ્કર અને હિઝબૂલના આતંકીઓ ગભરાયા છે. હજુ પણ અમૂક જગ્યાએ આતંકીઓ અને સુરક્ષાદળોની અથડામણ ચાલુ જ છે.


સેનાની આ કાર્યવાહીથી લશ્કર અને હિઝબૂલમાં ડર પેદા થઇ ગયો છે. આ આખા ઓપરેશનની પાછળ બ્રિગેડિયર અજય કટૉચ છે, જે આ આતંકીઓને સબક શીખવાડી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે આજે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના પઠાણપોરા વિસ્તારમાં પણ આતંકી સાથે અથડામણ થઇ હતી. પોલીસ અને સુરક્ષાદળોએ આ ઓપરેશન ચલાવ્યુ હતુ.



એક દિવસ પહેલા બુધવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં પાંચ આતંકી ઠાર માર્યા ગયા હતા. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું બુધવારે સવારે સુગ્ગૂ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે થઇ, સુગ્ગૂ ગામને આતંકીઓ હોવાની બાતમી મળી હતી અને સેના અને પોલીસની એક સંયુક્ત ટીમે ઘેરાબંધી કરીને હિઝબૂલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકીઓને ઠાર માર્યા હતા. એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં શોપીયા જિલ્લામાં આ ત્રીજી અથડામણ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ રેબન ગામમાં એક અથડામણ થઇ હતી અને પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે સોમવારે શોપિયાના પિંજુરા ગામમાં ચાર આતંકીઓ માર્યા ગયા હતા.