મુંબઈઃ કર્ણાટકમાં ફરી એક વખત રાજકીય નાટકે જોર પકડ્યું છે. રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે કોંગ્રેસના 21 મંત્રીઓએ કુમારસ્વામી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. કૉંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયાએ તેની પુષ્ટિ કરી છે. કૉંગ્રેસના કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યું કે, સરકાર બચાવવા અને ભાજપને રોકવા માટે અમારા ધારાસભ્યોએ મંત્રી પદ છોડ્યા છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, આ મામલાનું સમાધાન થઈ ગયું છે.આ સરકારને કોઈ જોખમ નથી. સરકાર સરળતાથી ચાલશે.


આ દરમિયાન આજે સાંજે કર્ણાટક કૉંગ્રેસ-JDSના બાગી ધારાસભ્યો મુંબઈથી ગોવા રવાના થયા હતા. અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે છે. તમામ લોકો રોડ માર્ગે ગોવા જઈ રહ્યા છે. આ પહેલા કૉંગ્રેસ નેતા ડી કે શિવકુમાર ધારાસભ્યોને પરત લાવવા મુંબઈ રવાના થયા હતા.


કૉંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ ટ્વિટ કરી તમામ ધારાસભ્યોને અપીલ કરી છે કે તેઓ પોતાના રાજીનામા પરત લે. સાથે જ તેમણે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ આરએસએસ ક્યારેય સંવિધાનનું સમ્માન નથી કરતા. ભાજપ સતત અમારી સરકારને પાડવાની કોશિશ કરે છે. તેમણે કહ્યું ભાજપ અમારા ધારાસભ્યોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે.


કૉંગ્રેસ જેડીએસ સરકારને બહારથી સમર્થન આપનારા બસપાના ધારાસભ્ય મહેશનું કહેવું છે કે મારૂ સમર્થન સરકારને ચાલુ રહેશે. પરંતુ તેમણે એસસી, એસટી માટે વધારે ફંડ જોઈએ છે. 15 દિવસ પહેલા જ માયાવતીએ કહ્યું હતું કે તેઓ ગઠબંધન સાથે જ રહેશે.


કર્ણાટક બીજેપીના પ્રમુખ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે અમે ભાજપા વિધાયક દળની બેઠક કરી રહ્યા છે અને ત્યાં યોગ્ય નિર્ણય લેવા જઈ રહ્યા છે. કાલે અમારા બધા કાર્યકર્તા વિરોધ કરશે, કારણ કે કોંગ્રેસ-જેડીએસ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. જેથી સીએમે તરત રાજીનામું આપી દેવું જોઈએ. આ જ લોકોની અપેક્ષા પણ છે. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે જ્યારે તેમણે વિશ્વાસ ગુમાવી દીધો છે તો સરકાર ચલાવવાનો કોઇ નૈતિક અધિકાર નથી. જેથી અમે માંગણી કરી રહ્યા છે કે સીએમ તરત રાજીનામું આપે.