Kolkata warehouse collapse: બુધવારે (24 જૂન, 2026) બપોરે પશ્ચિમ કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક નિર્માણાધીન વેરહાઉસની છત અચાનક ધરાશાયી થતાં 50 થી 60 જેટલા કામદારો કાટમાળ હેઠળ દટાયા હોવાની આશંકા છે. આ ઘટનામાં 9 જેટલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક SSKM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 5 લોકોની હાલત અત્યંત ગંભીર છે. એક તરફ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ ભાજપના એક નેતાએ આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયાનો સનસનીખેજ દાવો કર્યો છે, જોકે વહીવટીતંત્ર તરફથી મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Continues below advertisement

કેવી રીતે ઘટી ઘટના?

સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બુધવારે બપોરે કામદારો રાબેતા મુજબ બાંધકામના કામમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક એક જોરદાર ધડાકા સાથે વેરહાઉસની છતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. આ અવાજ એટલો મોટો હતો કે દૂર દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત એટલો અચાનક થયો કે કામદારોને પોતાનો જીવ બચાવવા ભાગવાનો કે સ્વસ્થ થવાનો સમય પણ મળ્યો ન હતો. ભારે કાટમાળ પડતાં જ ચારેબાજુ બૂમાબૂમ અને ચીચીયારીઓ મચી ગઈ હતી. અવાજ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો તરત જ દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવીને પ્રાથમિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

Continues below advertisement

યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

કોલકાતા પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તારાતલામાં બ્રેસ બ્રિજ નજીક ટ્રાન્સપોર્ટ ડેપો રોડ પર આ દુર્ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં જ કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG), સિવિલ ડિફેન્સ અને ફાયર તેમજ ઇમરજન્સીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ અને લોખંડના ભારે બીમ હટાવવા માટે ક્રેન સહિતની ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે. આ બચાવ કામગીરીમાં સ્થાનિક તંત્રની સાથે સેનાના અધિકારીઓ અને જવાનો પણ ખભેખભો મિલાવીને મદદ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો

નેતાઓનો દાવો અને આક્ષેપ

આ ગોઝારી દુર્ઘટના બાદ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ શરૂ થઈ ગયા છે. ન્યૂઝ એજન્સી IANS ના અહેવાલ મુજબ, ભાજપના નેતા રાકેશ સિંહે દાવો કર્યો છે કે આ ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલાયા છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી ઇન્દ્રનીલ ખાને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "અમારી પહેલી પ્રાથમિકતા અંદર ફસાયેલા લોકોને બચાવવાની છે. બધી જ રેસ્ક્યુ ટીમો સ્થળ પર હાજર છે." જોકે, આ સાથે જ તેમણે મોટો આક્ષેપ કરતા કહ્યું કે, "આ આખું બાંધકામ ગેરકાયદેસર છે અને અગાઉ જ્યારે TMC સત્તામાં હતી ત્યારે આ બનાવવામાં આવ્યું હતું."

આ પણ વાંચોઃ રાજકોટ: ફનબ્લાસ્ટ ગેમઝોનમાં શોર્ટ સર્કિટથી નાસભાગ, TRP જેવી મોટી દુર્ઘટના બનતા અટકી