અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ 5 ઓગસ્ટે યોજાવાનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનો શિલાન્યાસ કરવાના છે ત્યારે આ કાર્યક્રમ માટે ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી એને મુરલી મનોહર જોશીને નિમંત્રણ નહીં અપાય.


રામમંદિરનું નિર્માણ કરનારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે નિર્ણય લીધો છે કે, રામમદિરના ભૂમિપૂજન અને શિલાન્યાસ માટે હવે 200ના બદલે 170 મહેનાનોને જ નિમંત્રણ અપાશે. જે 30 નામોમાં કાપ મૂકાયો છે તેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી એને મુરલી મનોહર જોશી પણ છે. આ બંને નેતાઓએ હાજર રહેવાની અસમર્થતા બતાવી હોવાનો દાવો કરાય છે. રામમંદિર ચળવળ સાથે જોડાયેલા કલ્યાણસિંહ અને ઉમા ભારતીને નિમંત્રણ અપાયાં છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી એને મુરલી મનોહર જોશીને નિમંત્રણ નથી મળ્યાં એ વાત આશ્ચર્યજનક છે. જોશી અને અડવાણી બંને મોદીના આગમન પછી ભાજપમાં કોરાણે મૂકાઈ ગયા છે.



આ કાર્યક્રમ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સહિત દસ લોકોને નિમંત્રણ અપાયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય આ કાર્યક્રમ માટે દેશના બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં મળે. કોઈ એક મુખ્યમંત્રીને બોલાવાય તો તમમા રાજ્યોના મુખ્યમંત્રીઓને નિમંત્રણ મોકલવા પડે તેથી યોગી સિવાય કોઈ મુખ્યમંત્રીન નિમંત્રણ નહીં આપવાનો નિર્ણય લેવાયો. આ કારણે દેશના બીજા કોઈ રાજ્યના મુખ્યમંત્રીને નિમંત્રણ નથી અપાયું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાનો રામમંદિર ચળવળમાં મોટો ફાળો હતો તેથી ઉધ્ધવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ સમક્ષ આ કાર્યક્રમમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે યોગી સિવાય બીજા કોઈ મુખ્યમંત્રીને નિમંત્રણ નહીં આપતાં ઉધ્ધવ પણ હાજર નહીં રહી શકે.