નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી.


પીએમ મોદીએ લોકડાઉન લંબાવ્યાની જાહેરાત બાદ દેશભરમાં પેસેન્જર્સ ટ્રેન અને હવાઈ સેવાઓ રદ્દ કરવાની સાથે મેટ્રો સેવાઓ પણ 3 મે સુધી બંધ કરી દેવામાં આવી છે. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ ડીએસ મિશ્રાના જણાવ્યા મુજબ, 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું હોવાની જાહેરાત સાથે જ મેટ્રો રેલની સેવાને પણ ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.


નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાણકારી આપતાં કહ્યું કે, તમામ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન 3 મે રાત્રે 11 કલાક 59 મિનિટ સુધી રદ્દ કરી દેવામાં આવી છે.


રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ લોકોને તમામ દિશા-નિર્દેશોનું પાલન કરવા કહ્યું હતું. સંબોધનમાં મોદીએ કહ્યું કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.