મુંબઈઃ મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ રાજ્યમાં ફરી લોકડાઉ લાદવાની ચીમકી આપી છે. ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યના નાગરિકો પોતાના વર્તનમાં સુધારો નહીં કરે ને કોવિડ 19 પ્રોટોકલનું પાલન નહીં કરે તો રાજ્યમાં ફરી લોકડાઉન લાદી દેવાશે.


મહારાષ્ટ્રમાં શનિવારે એક જ દિવસમાં 6000 કરતાં વધારે કેસ નોંધાયા હતા. ગયા વર્ષે ડીસેમ્બર પછી પહેલી વાર એવું બન્યું છે કે, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 6000 કરતાં વધારે કેસ નોંધાયા હોય. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા શનિવારે 2,09,913 હતી. ઉધ્ધવ ઠાકરેએ કોરોનાનો સેકન્ડ વેવ હોવાનો ઈન્કાર કર્યો છે પણ તમામ જિલ્લા તંત્રને આકરાં પગલાં લેવા સૂચના આપી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્રણ મહિના બાદ શુક્રવારે માત્ર એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 6000 જેટલા કેસ નોંધાયા પછી મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે એટલે કે શનિવારે પણ એક જ દિવસમાં 6000 કરતાં વધારે કેસ નોંધાયા હતા. લોકલ સેવા શરુ થયા બાદ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. વધતા કેસના કારણે મહારાષ્ટ્રના બે જિલ્લામાં લોકડાઉનનું એલાન કરાયુ છે. કોરોના ગાઈડલાઈનના નિયમ તોડનાર સામે સખ્ત કાર્યવાહીના મહારાષ્ટ્ર સરકારે આદેશ આપ્યા છે.

મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવાર રાત્રે 10 કલાકથી દસ દિવસ સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. આ પહેલા વિદર્ભના અમરાવતી જિલ્લામાં શનિવારે રાત્રે 8 કલાકથી સોમવાર સવાર 7 કલાક સુધી વીકએન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી.