પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી ક્યારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે, ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે.


પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોરોના વેક્સીનને બે ડોઝ લગાવવા ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનું અંતર રાખવામાં આવશે. બીજો ડોઝ લગાવ્યાના બે સપ્તાહ બાદ શરૂરીમાં કોરોના સામેની જરૂરી શક્તિ વિકસીત થશે. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે ભારતમાં કોરોના પહોંચ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગની એક જ લેબ હતી. આપણે આપણા સામર્થ્ય પર વિશ્વાસ રાખ્યો અને આજે 2300 થી વધારે નેટવર્ક આપણી પાસે છે.

નોંધનીય છે કે રસીકરણ અભિયાનની શરૂઆત થઈ તેમાં પ્રથમ તબક્કામાં માત્ર ફ્રન્ટ લાઈન કોરોના વર્કર્સને જ રસી આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને કોઈપણ ધારાસભ્ય, સાંસદ કે નેતાને પ્રથમ તબક્કામાં રસી આપવામાં નહીં આવે. જોકે ભાજપના જ સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી મહેશ શર્માએ કોરોના રસી લીધી છે. જોકે તેમને નેતા તરીકે નહીં પણ ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે રસી આપવામાં આવી છે.

આ રીતે એમબીબીએસ ડોક્ટર શર્મા કોરોના વાયરસની રસી લેનાર દેશના પ્રથમ સાંસદ બની ગયા છે. તેમને અંદાજે 11 કલાકે કૈલાશ હોસ્પિટલમાં રસી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, આજથી શરૂ થયેલ રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે પ્રત્યેક સ્થળ પર અંદાજે 100 જેટલા હેલ્થ વર્કર્સોને રસી આપવામાં આવશે. રસીકરણના કાર્યક્રમમાં કો-વિન નામના ઓનલાઈન ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે. જે કેંદ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તૈયાર કર્યું છે.