નવી દિલ્હી: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ઐતિહાસિત જીત થઈ છે. આ જીત સાથે જ આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે. આપના દિગ્ગજ નેતાઓ પણ ગોપાલ ઈટાલિયાને જીતની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદિયાએ વિસાવદર પેટા ચૂંટણીમાં શાનદાર જીત બદલ ગોપાલ ઈટાલિયાને અભિનંદન પાઠવ્યા છે.
મનિષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ગુજરાતમાં મોટી જીત! ગુજરાતનો સિંહ ગોપાલ ઈટાલિયા હવે વિધાનસભામાં ગર્જના કરશે. આ જીત દિવસ-રાત મહેનત કરનારા દરેક કાર્યકરની છે. આમ આદમી પાર્ટીના દરેક સૈનિકનો આભાર અને હાર્દિક અભિનંદન! ટીમ ગુજરાતને અભિનંદન!
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં AAPના ગોપાલ ઇટાલિયાની જીત અંગે દિલ્હી AAP પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું, આ AAP માટે એક મોટી જીત છે. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા હતા કે AAP એક પક્ષ તરીકે સમાપ્ત થઈ જશે. પરંતુ દિલ્હીમાં હાર બાદ AAP લુધિયાણા પશ્ચિમ (વિધાનસભા પેટાચૂંટણી) જીતી રહી છે અને અમે AAPના ગઢ ગણાતા ગુજરાતમાં પેટાચૂંટણી પણ મોટા માર્જિનથી જીત્યા છીએ. મને લાગે છે કે આ એક મોટી જીત છે. કેટલાક લોકો કહેતા હતા કે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં સાઈડલાઈન થઈ જશે, આ એક શાનદાર વાપસી છે."
ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થતાની સાથે જ આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ ભાજપમાં સોપો પડી ગયો હતો.
વિસાવદરમાં ભાજપની કારમી હાર
જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગુજરાત ભાજપના મંત્રીઓ અને વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા સહિતનાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું તેમ છતાં પણ ભાજપની કારમી હાર થઈ છે. પરાજય થતા હાર પાછળનું કારણ મેળવવા ભાજપમાં મંથન શરૂ થયું છે.
ચૂંટણી જીત પહેલા ગોપાલ ઈટાલીયાએ કરી હતી ભાવુક પોસ્ટ
આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.
મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.
આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.