Monsoon 2026 rain deficit: વર્ષ 2026 નું ચોમાસું શરુઆતમાં તો એકદમ ધમાકેદાર રહ્યું, પણ હવે અચાનક તેની ગતિ સાવ ધીમી પડી ગઈ છે. હવામાન વિભાગ (IMD) ના આંકડા મુજબ, 22 જૂન સુધીમાં દેશમાં સરેરાશ કરતા લગભગ 43% ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્ર આસપાસ અટકી ગયું છે, જેની સીધી અને નકારાત્મક અસર મધ્ય, ઉત્તર-પૂર્વ, દક્ષિણ અને ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પર પડી રહી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની ચિંતા ખૂબ વધી ગઈ છે, કારણ કે અત્યારે ખરીફ પાકોની વાવણી માટેનો સૌથી મહત્વનો સમય ચાલી રહ્યો છે. જો વરસાદમાં હજુ પણ વિલંબ થશે તો ખેતી અને પાણીની ઉપલબ્ધતા બંને પર મોટું સંકટ આવી શકે છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે, દેશમાં 20 જૂન સુધીમાં 84.4 mm વરસાદ પડવો જોઈતો હતો, જેની સામે માત્ર 45.6 mm વરસાદ જ પડ્યો છે. એટલે કે અપેક્ષા કરતા 46% ઓછો વરસાદ નોંધાયો હતો, જે 22 જૂન સુધીમાં થોડો સુધરીને 43% ઘટ સુધી પહોંચ્યો છે. આ સરખામણી છેલ્લા ઘણા દાયકાઓના સરેરાશ વરસાદ (LPA) સાથે કરવામાં આવી છે.
આખરે ચોમાસું આગળ કેમ વધી રહ્યું નથી?
હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ચોમાસાને આગળ વધવા માટે જે સાનુકૂળ વાતાવરણ જોઈએ, તે બની રહ્યું નથી. આ માટે IMD એ 5 મુખ્ય કારણો આપ્યા છે:
1. અરબી સમુદ્રમાંથી ભેજ ઘટવો: ચોમાસાને આગળ ધપાવવામાં અરબી સમુદ્રનો ભેજ બહુ મોટો ભાગ ભજવે છે. પરંતુ હાલમાં ત્યાંથી પૂરતા ભેજવાળા પવનો આવી રહ્યા નથી, જેથી વાદળો ઓછા બંધાઈ રહ્યા છે અને વરસાદની ગતિવિધિઓ નબળી પડી છે.
2. ચોમાસાના પવનો નબળા પડ્યા: અરબી સમુદ્ર પરથી ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પવનોની તાકાત હવે ઘટી ગઈ છે. પવન ધીમા પડવાથી મહારાષ્ટ્ર અને અન્ય આંતરિક વિસ્તારોમાં પૂરતો ભેજ પહોંચી શકતો નથી.
3. હિંદ મહાસાગરનો સાથ ન મળવો: સામાન્ય રીતે વિષુવવૃત્ત પરથી આવતા પવનો હિંદ મહાસાગરમાંથી સારો એવો ભેજ લાવતા હોય છે. પણ છેલ્લા થોડા અઠવાડિયાથી આ પવનો પણ નબળા પડી ગયા છે.
4. વરસાદી સિસ્ટમનો અભાવ: સારો વરસાદ લાવવા માટે દરિયામાં લો-પ્રેશર (હળવા દબાણનો વિસ્તાર) કે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવું જરૂરી છે. હાલમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં આવી કોઈ મજબૂત સિસ્ટમ જ બની નથી.
5. MJO નું નબળું પડવું: મેડન-જુલિયન ઓસિલેશન (MJO) નામની હવામાન સિસ્ટમ જ્યારે એક્ટિવ હોય ત્યારે દક્ષિણ ભારતમાં સારા વાદળો બને છે. અત્યારે આ સિસ્ટમ પણ સાવ નબળી સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
શું અલ નીનોની પણ અસર છે?
હવામાન નિષ્ણાતો માને છે કે પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. અલ નીનોમાં સમુદ્રનું પાણી સામાન્ય કરતા ગરમ થાય છે, અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે પણ અલ નીનો એક્ટિવ હોય, ત્યારે ભારતમાં ચોમાસું નબળું જ પડે છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) પણ અત્યારે ન્યુટ્રલ (તટસ્થ) સ્થિતિમાં છે. ઘણીવાર પોઝિટિવ IOD અલ નીનોની અસરને ઘટાડે છે, પણ આ વખતે તેવો કોઈ ટેકો મળી રહ્યો નથી.
ખેડૂતો માટે કેમ વધ્યું ટેન્શન?
વરસાદમાં આ બ્રેક એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરના ખેડૂતો ડાંગર, સોયાબીન, કપાસ અને મકાઈ જેવા ખરીફ પાકોની વાવણીની તૈયારી કરી રહ્યા છે. આ પાકોને શરુઆતના તબક્કામાં સારા વરસાદની અત્યંત જરૂર હોય છે. જો આવનારા દિવસોમાં વરસાદ નહીં વધે તો વાવણી અટકી જશે અને ડેમોમાં પાણીનો સંગ્રહ ઘટતા સિંચાઈ માટે પણ મોટી સમસ્યા ઉભી થશે. આથી, ખેડૂતો અને સરકાર બંનેની નજર આવતા અઠવાડિયાના વરસાદ પર મંડાયેલી છે.
