નવી દિલ્હી: મોદી સરકારના કેન્દ્રીયમંત્રી રામદાસ આઠવલે રોહિંગ્યા મુસ્લિમોને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. આરપીઆઈ પ્રમુખ રામદાસ આઠવલે કહ્યું કે, ‘રોહિંગ્યા ભારતના મહેમાન છે. જ્યારે મહેમાન આપણે ત્યાં આવે છે ત્યારે તેની મદદ કરવામાં આવે છે, તો રોહિંગ્યા પણ ભારતમાં આવ્યા છે. તેમની મદદ કરવામાં આવી રહી છે.’ રામદાસ આઠવેલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં આસામના એનઆરસી વિવાદ પર રાજકીય હોબાળો મચી ગયો છે.


રામદાસ આઠવલે કહ્યું કે, ભારત માનવાધિકાર ધર્મ નિભાવી રહ્યો છે. તેથી ભારતના લોકોને મુશ્કેલી થવાનો કોઈ વિષય નથી. માનવતાની રીતે રોહિંગ્યા મુસ્લિમોની મદદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશના નાગરિકોનો વિષય નથી, દેશના નાગરિકોના પૈસા સરકાર પાસે હોય છે. બીજા લોકોને વધારે તકલીફ ન આપતા જો કોઈ મહેમાન આવે છે તેમના પર થોડાક પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે.

જો કે, રામદાસ આઠવલે એ પણ કહ્યું કે, રોહિંગ્યા ભારત સરકારની જવાબદારી નથી. પરમનન્ટ રોહિંગ્યાને ભારતમાં રાખવાનો કોઈ વિષય નથી. અત્યારે કામચલાઉ તેમની મદદ કરવામાં આવી રહી છે. રોહિંગ્યા મ્યાનમારથી આવ્યા છે. જો તેઓ મૂળ બાંગ્લાદેશી છે તો બાંગ્લાદેશે તેઓને અપનાવવા જોઈએ.